દિવાળીના ટાણે જ ખેડૂતોને મગફળીનો મારઃ રોકડની તંગી સામે ઓછી કિંમતે પાકનું વેચાણ કરવા મજબૂર ખેડૂત
એક તરફ દિવાળીનો તહેવાર છે અને બીજી તરફ ખેડુતો માટે મગફળીના રોકડા કરવામાં મુશ્કેલી થઈ રહી છે. ખેડૂતોએ ગત વર્ષના પ્રમાણમાં અધધ મગફળીનો જથ્થા સાથે બજારમાં પહોંચ્યા છે. તહેવારોના ટાણે રૂપિયાની જરુરીયાતને લઈ ખેડૂતો ઓછા ભાવ પણ લેવા તૈયાર છે. પરંતુ જથ્થો જ એટલો છે કે, સામે ઉતારવો અઘરું પડી રહ્યું છે. હિંમતનગરમાં નવ દીવસમાં […]
દિવાળીને લઈ ખેડૂતોને પણ નાણાની ખેંચતાણ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન સારું થયું છે. જેને લઈને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળવાની આશા હતી. પરંતુ સામા તહેવારે ખેડૂતોને ઉત્પાદનના નિરાશા સાંપડી રહી છે. ખેડૂતો માર્કેટયાર્ડોમાં પોતાની મગફળી સાથે ત્રણ દિવસથી લાઈનમાં છે.
સરકારે ટેકાના ભાવ બાંધ્યા અને તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આમ છતાં ટેકાના ભાવની ખરીદી દિવાળી બાદ શરુ થશે. જેથી જાહેર હરાજીમાં જ મગફળી વેચવી પડે છે. જેને લઈ ટેકાના ભાવ કરતા પણ 200થી 250 રુપીયાના ઓછી કિંમતે પાક આપવો પડી રહ્યો છે. જો આવું ન કરે તો દિવાળીનો તહેવાર બગડી શકે છે.
સાગર પટેલ મુજબ માર્કેટયાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતા નથી. આઠસો નવસોથી હરાજી શરુ થાય છે અને જેને લઇને ખેડૂતો પણ તહેવારના કારણે ઓછા ભાવે વેચવામાં રાજી થઈ રહ્યા છે. ભીમપુરાના ખેડૂત કોદરભાઇ પટેલ કહે છે કે, હાલમાં 850 રુપિયા ખરીદીનો ભાવ છે. ત્રણ દિવસથી વેચવા માટે બેઠા છીએ અને હાલ 900 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂત પંકજ પટેલ કહે છે કે, અત્યારે ઓછા ભાવે હરાજી શરુ થાય છે પૈસા પણ રોકડા મળતા નથી અને 10 દિવસ ફેરના ચેક અપાય છે. ખેડૂતોને રોકડાની જરુર છે પણ રોકડા છે નહીં, શરુઆતમાં 1600 રુપિયા ભાવ હતો. એ અઠવાડીયામાં ભાવો અડધા કરી દીધા છે. ટેકાના ભાવે ખરીદી વહેલી શરુ કરાઈ હોત તો ખેડૂતોને દીવાળીમાં રાહત મળવી શક્ય હતી.
જે મગફળીનો ભાવ જાહેર હરાજીમાં સપ્તાહ અગાઉ ખરીદી શરુ થઇ ત્યારે 1500થી 1600 રુપિયા પ્રતિ 20 કીલોના ભાવે વેચાણ થતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર સવાર થઇ હતી. પરંતુ દિવસેને દિવસે ઘટતા ભાવોને લઇને હાલમાં મગફળી અડધા ભાવે એટલે કે, 800થી 900 રુપિયાના તળીયાના ભાવથી ખેડૂતો પાસેથી હરાજીમાં બોલી લાગતા ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માટે જાણે કે દિવાળી સમયે જ ચિંતાના વાદળોથી ઘેરાયેલા દિવસો જોવાનો વારો આવ્યો છે. હિંમતનગર માર્કેટયાર્ડની જ વાત કરવામાં આવે તો, છેલ્લા 9 દિવસમાં 1 લાખ 54 હજાર બોરીની મગફળીની આવકો નોંધાઈ છે. તો હાલમાં ભાવ પણ 900 રુપિયાથી 1 હજાર 70 રુપિયા સુધીનો ભાવ સામે આવ્યો છે. જે એક દીવસ અગાઉ આઠસો રુપિયા હતો. આમ ખેડૂતો માટે મગફળીનો પાક અપોષણ હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.
હિંમતનગર માર્કેટયાર્ડના સેક્રેટરી મણીભાઇ પટેલ કહે છે કે, હાલમાં મગફળીની આવક પણ વધુ નોંધાઇ છે. જે ગત વર્ષના પ્રમાણમાં વધુ છે. ભાવ બુધવારે સવારે 900થી એક હજાર સીત્તેર જેટલા નોંધાયા છે અને ટેકાના ભાવે ખરીદી લાભપાંચમથી શરુ થશે.