ફ્રિજની કેપેસિટી કિલોને બદલે લિટરમાં કેમ માપવામાં આવે છે ?
ફ્રિજની કેપેસિટી કિલોને બદલે લિટરમાં કેમ માપવામાં આવે છે? ફ્રિજ બનાવતી કંપનીઓ તેની કેપેસિટી લિટરમાં કેમ લખે છે, આખરે શું છે તેનું કારણ?

આપણે જ્યારે પણ ફ્રિજ ખરીદવા જઈએ છીએ ત્યારે ઘણીવાર 190 લિટર, 250 લિટર અથવા 350 લિટર જેવા આંકડાઓ વિશે સાંભળીએ છીએ. બીજું કે, ફ્રિજને લંબાઈ અને પહોળાઈમાં નહીં પણ લિટરમાં કેમ માપવામાં આવે છે એવો વિચાર પણ આપણા મગજમાં કેટલીકવાર આવે છે. તો ચાલો જાણીએ કે આવું કેમ?
ફ્રિજની કેપેસિટી લિટરમાં મપાય છે
ફ્રિજને લિટરમાં માપવાનો અર્થ એ છે કે તેની અંદર રહેલું વોલ્યુમ એટલે કે તેની આંતરિક સંગ્રહ ક્ષમતા છે. ટૂંકમાં કહીએ તો, જેમ એક લિટર દૂધ એટલે એક લિટર જગ્યા ભરી શકાય તેમ ફ્રિજ જો 250 લિટરનું હોય તો તેમાં કુલ 250 લિટર જેટલો સામાન આવી શકે છે.
ફ્રિજની લિટર ક્ષમતા કેવી રીતે માપવામાં આવે છે?
ફ્રિજનું કદ તેના આંતરિક ભાગો જેમ કે રેફ્રિજરેટર કમ્પાર્ટમેન્ટ, ફ્રીઝર, શેલ્ફ અને દરવાજાઓની કુલ જગ્યા ઉમેરીને માપવામાં આવે છે. આ માપ ઘન સેન્ટીમીટરમાં હોય છે, જે પછી લિટરમાં બદલાઈ જાય છે. ઉદાહરણ રૂપે, 1000 ઘન સેન્ટીમીટર એટલે 1 લિટર.
લિટરમાં માપવાના ફાયદા
ફ્રિજની ક્ષમતાને લિટરમાં માપવાના ઘણા ફાયદા છે. ગ્રાહકો પ્રતિ લિટરના આધારે વિવિધ મોડેલોની સરળતાથી તુલના કરી શકે છે. આનાથી ઘણા લોકો તેમની જરૂરિયાતોને આધારે ફ્રિજની પસંદગી કરી શકે છે. ફ્રિજને લિટરમાં માપવાનો હેતુ તેનું વજન નથી પરંતુ તમે તેમાં કેટલી વસ્તુઓ રાખી શકાય તે છે. જણાવી દઈએ કે, ફ્રિજ વોલ્યુમ આધારિત યુનિટ છે.