ઇરાની ફાયરિંગ વચ્ચે ભારતીય ટેન્કર ‘દેશ ગરિમા’ સુરક્ષિત બહાર, કેવી રીતે પાર કરી અગ્નિપરીક્ષા?
હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર હુમલાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. બે જહાજો પર ફાયરિંગ થયા બાદ જ્યારે અન્ય જહાજો રૂટ બદલી રહ્યા હતા, ત્યારે કાચા તેલથી ભરેલું ભારતીય ટેન્કર ‘દેશ ગરિમા’ આ મોતની ખીણમાંથી હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યું છે. ભારત સરકારે આ ગંભીર મુદ્દે ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે.

બે ભારતીય જહાજો પર ગોળીબાર થતા પાછા ફરવા મજબૂર, છતાં એક ટેન્કરે જોખમી રૂટ કાપ્યો; દિલ્હીમાં ઈરાની રાજદૂતને તેડું….,
હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર હુમલાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. બે જહાજો પર ફાયરિંગ થયા બાદ જ્યારે અન્ય જહાજો રૂટ બદલી રહ્યા હતા, ત્યારે કાચા તેલથી ભરેલું ભારતીય ટેન્કર ‘દેશ ગરિમા’ આ મોતની ખીણમાંથી હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યું છે. ભારત સરકારે આ ગંભીર મુદ્દે ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે.
દુનિયાના સૌથી વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ તણાવ વચ્ચે ભારતીય ઓઈલ ટેન્કર ‘દેશ ગરિમા’એ એક મોટું જોખમ પાર કરીને સુરક્ષિત રીતે આ જળમાર્ગ પસાર કરી લીધો છે. 31 ભારતીય નાવિકો સાથેનું આ જહાજ ૨૨ એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. પરંતુ આ સફળતા જેટલી દેખાય છે એટલી સરળ નહોતી.
ફાયરિંગ અને ભારતીય જહાજોની પીછેહઠ
છેલ્લા 24 કલાકમાં સ્થિતિ ત્યારે વણસી જ્યારે ઈરાન તરફથી ભારતીય જહાજો ‘સનમાર હેરાલ્ડ’ અને ‘જગ અર્નવ’ પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલાને કારણે આ બંને જહાજોએ અધવચ્ચેથી જ પાછા ફરવું પડ્યું હતું. આ ઘટના બાદ અન્ય બે ભારતીય ટેન્કરો ‘દેશ વૈભવ’ અને ‘દેશ વિભોર’ એ પણ પોતાના રૂટ બદલી નાખ્યા છે. હાલમાં 14 જેટલા ભારતીય જહાજો આ જોખમી વિસ્તારમાં ફસાયેલા હોવાનું મનાય છે.
દિલ્હીમાં રાજદ્વારી ગરમાવો
ભારતીય જહાજો પર ગોળીબારની આ ગંભીર ઘટના બાદ ભારતે તાત્કાલિક એક્શન લીધા છે. વિદેશ સચિવે નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતને તેડું મોકલ્યું હતું અને ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાણિજ્યિક જહાજો પર આ પ્રકારના હુમલા સહન કરવામાં નહીં આવે અને ઈરાને તાત્કાલિક ધોરણે ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત બનાવવી પડશે.
કેમ મહત્વનો છે આ માર્ગ?
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ક્રૂડ ઓઈલ સપ્લાય માટેની લાઈફલાઈન છે. ભારતનું મોટાભાગનું કાચું તેલ આ જ માર્ગે આવે છે. અત્યાર સુધી માર્ચ મહિનાથી 10 ભારતીય જહાજો આ માર્ગ પસાર કરી ચૂક્યા છે, પરંતુ લેટેસ્ટ ફાયરિંગની ઘટનાએ હવે ચિંતા વધારી દીધી છે. શું ઈરાન જાણીજોઈને ભારતીય જહાજોને નિશાન બનાવી રહ્યું છે કે આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? તે અત્યારે મોટો સવાલ છે. સરકાર અત્યારે પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે જેથી મુંબઈ આવી રહેલા જહાજોને કોઈ આંચ ન આવે.
