પાકિસ્તાનમાં ‘હિંસા વચ્ચે આતંકવાદ અને અપહરણનું જોખમ વધ્યું, UK, USA અને CANADA દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા, બ્રિટન અને કેનેડાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. યુએસ એમ્બેસીએ પાકિસ્તાનમાં રહેતા તેના નાગરિકો માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા બાદ પાકિસ્તાની રેન્જર્સે તેની કોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારથી, સ્થિતિ ગંભીર છે. ઈમરાન ખાનના સમર્થકો હિંસા તરફ વળ્યા છે. અનેક જગ્યાએથી તોડફોડ અને આગચંપીનાં બનાવો સામે આવી રહ્યાં છે.
સમગ્ર પાકિસ્તાન ભડકે બળ્યું
આવી સ્થિતિમાં સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ફેસબુક અને વોટ્સએપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય મોબાઈલ ઈન્ટરનેટ આર્મી પણ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની સ્થિતિને જોતા આજે યોજાનારી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજથી આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.
અમેરિકાએ તેના નાગરિકોને એલર્ટ કર્યા છે
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા, બ્રિટન અને કેનેડાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. યુએસ એમ્બેસીએ પાકિસ્તાનમાં રહેતા તેના નાગરિકો માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, અમેરિકી દૂતાવાસ ઈસ્લામાબાદમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલા તણાવ પર સતત નજર રાખી રહ્યું છે. આખા પાકિસ્તાનમાં છૂટાછવાયા દેખાવો થઈ રહ્યા છે અથવા ક્યાંક દેખાવોનું આયોજન થઈ રહ્યું છે.
આવી સ્થિતિમાં, એમ્બેસીએ 10 મે માટે ઇસ્લામાબાદમાં કોન્સ્યુલર એપોઇન્ટમેન્ટ્સ રદ કરી દીધી છે. આ સિવાય અમેરિકન નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
યુકે અને કેનેડાએ તેના નાગરીકોને કર્યા અલર્ટ
આ સિવાય યુકે ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે પણ પાકિસ્તાનમાં રહેતા બ્રિટનના લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક મીડિયા પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાની મનાઈ કરવામાં આવી છે.
તે જ સમયે, કેનેડાની સરકારે પણ તેના નાગરિકોને પાકિસ્તાનમાં વધુ સાવચેત રહેવા માટે કહ્યું છે. તેમના મતે પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે આતંકવાદ, સાંપ્રદાયિક હિંસા અને અપહરણનો ખતરો વધી ગયો છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ.