રાનિલ વિક્રમસિંઘે બનશે શ્રીલંકાના નવા વડાપ્રધાન, આજે સાંજે 6:30 વાગ્યે લેશે પીએમ પદના શપથ
આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil wickremesinghe) આજે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાનિલ વિક્રમસિંઘે આજે સાંજે 6.30 કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેશે.
આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil wickremesinghe) આજે શ્રીલંકાના (Sri Lanka) નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાનિલ વિક્રમસિંઘે આજે સાંજે 6.30 કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેશે. તમને જણાવી દઈએ કે રાનિલ વિક્રમસિંઘે ભૂતકાળમાં પણ શ્રીલંકાના વડાપ્રધાન રહી ચૂક્યા છે. શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘે પાસે માત્ર એક જ સીટ છે. 73 વર્ષીય યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ના નેતાએ બુધવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે વાત કરી, એવી અટકળોને વેગ આપ્યો કે રાનીલ ફરી એકવાર શ્રીલંકાના વડા પ્રધાન બની શકે છે.
શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે બે મહિના પછી સિરીસેનાએ તેમને ફરીથી વડાપ્રધાન બનાવ્યા. કોલંબો પેજ અખબાર મુજબ, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (SJB) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં તેમની બહુમતી સાબિત કરવા માટે વિક્રમસિંઘેને સમર્થન દર્શાવ્યું છે.
યુએનપીના પ્રમુખ વી અબેવારદેનાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિક્રમસિંઘે નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી તેઓ બહુમતી મેળવશે. દેશની સૌથી જૂની પાર્ટી, UNP, 2020 માં છેલ્લી સંસદીય ચૂંટણીમાં માત્ર એક જ સીટ જીતી શકી હતી. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રને તેમના ટેલિવિઝન સંદેશમાં, પદ છોડવાની ના પાડી હતી પરંતુ આ અઠવાડિયે નવા વડા પ્રધાન અને યુવા કેબિનેટની રચનાનું વચન આપ્યું હતું.
વકીલાતનો અભ્યાસ કર્યા બાદ રાજકારણમાં પગ મૂક્યો
રાનિલ વિક્રમસિંઘેનો જન્મ 24 માર્ચ, 1949ના રોજ કોલંબો, શ્રીલંકામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. રાનિલના પિતા એસ્મૉન્ડ વિક્રમસિંઘે વ્યવસાયે વકીલ હતા. રાનિલે પણ અભ્યાસ કર્યા બાદ વકીલાતને પોતાનો વ્યવસાય પસંદ કર્યો. રાનિલ વિક્રમસિંઘે યુનિવર્સિટી ઓફ સિલોન, શ્રીલંકામાં અભ્યાસ કર્યો હતો. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે 70ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો. યુનાઈટેડ નેશનલ પાર્ટી સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અહીં કરી હતી. 1977માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. તેમને વિદેશ મંત્રાલયના નાયબ મંત્રી બનાવવામાં આવ્યા. આ પછી, યુવા અને રોજગાર મંત્રાલય સહિત ઘણા મંત્રાલયો સંભાળવાની તક મળી.