પાકમાં ભારતીય દૂતાવાસ પર જોવા મળ્યું ડ્રોન, ભારતના કડક જવાબ બાદ પાકે બદલ્યો રંગ
જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દુતાવાસ પર ડ્રોન જોવા મળતા ભારતે તેની ટીકા કરી હતી. જે બાદ પાકે તેની આદત અનુસાર અવળચંડાઇ ભર્યો જવાબ આપ્યો છે.
પાકિસ્તાન (Pakistan) તેની અવળચંડાઇ ક્યારેય નથી છોડતું. તાજેતરમાં જમ્મુમાં ડ્રોન (drone attack in jammu) દ્વારા આતંકી હુમલો થયો હતો. આ બાદ પાકના ઇસ્લામાબાદમાં ડ્રોન જોવા મળ્યાના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત ગંભીર એટલા માટે છે કે તે ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશન ઉપર જોવા મળ્યું હતું. ભારતે આ વાતને ગંભીરતાથી લેતા પાક સરકાર સામે વાંધો જાહેર કર્યો.
અહેવાલો અનુસાર આ ડ્રોન ભારતીય દુતાવાસની તસ્વીરો લઇ રહ્યું હતું. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભારત સરકારે તેની કડક નિંદા કરી હતી. અહેવાલોનું માનીએ તો 26 જૂને આ ડ્રોન ભારતના દુતાવાસ પર જોવા મળ્યું હતું. જોકે ડ્રોન ક્યાંથી આવ્યું હતું તેની માહિતી મળી ન હતી. પરંતુ તમને જણાવી દઈએ કે જે સમયે દુતાવાસમાં અગત્યનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ટે સમયે આ ડ્રોન જોવા મળ્યું હતું.
ભારતના કડક સ્ટેન્ડ બાદ પાક સરકારના વિદેશ મંત્રાલયે આપેલું નિવેદન સાવ હાસ્યાસ્પદ છે. તેના પ્રવક્તાએ કહ્યું કે ‘ભારતીય વિદેશ મંત્રાલય અને ભારતની મીડિયા આરોપ લગાવે છે કે ઇસ્લામાબાદ સ્થિત ભારતના દૂતાવાસ (Indian High Commission) ઉપર ડ્રોન જોવા મળ્યું. આ દાવો નિરાધાર છે. તેમાં કોઈ સત્ય નથી.’
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને આ મુદ્દે સાવ અજાણ હોય તેવી છબી ઉભી કરવા પ્રયત્ન કર્યો હતો. અને તેથી વિશેષ ઇસ્લામાબાદમાં ભારતીય દુતાવાસ પર જોવા મળેલા ડ્રોનને લઈને ભારત પર નિરર્થક આરોપો લગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે એરબેઝ પર થયેલા હુમલાના આગળના દિવસે આતંકીઓએ મિલેટ્રી સ્ટેશન પર પણ ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન કરાયો. જમ્મુના કાલુચક સ્ટેશન પર સવારે 3 વાગે ડ્રોન જોવા મળ્યું હતું.
રવિવારે મોડી રાતે આતંકીઓએ જમ્મુ એરબેઝ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા, જેમાં છતને નુકસાન થયું હતું. પહેલો બ્લાસ્ટ મોડી રાત્રે 1.37 વાગ્યે થયો હતો. એ બાદ પાંચ મિનિટમાં જ બીજો વિસ્ફોટ થયો હતો. બે સૈનિકોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ પહેલીવાર છે જ્યારે સરહદ પાર બેઠેલા આતંકવાદીઓએ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય.
આ પહેલા ક્યારેય હુમલા માટે ડ્રોનનો ઉપયોગ થયો હોય તેવી માહિતી નથી. આ કેસમાં હવે NIA તપાસ કરી રહી છે. અહેવાલો પ્રમાણે ડ્રોન હુમલામાં ખર્ચો ઓછો અને જોખમ પણ ઓછું હોય છે. આ નવી ચાલથી આસાનીથી તેઓ હુમલાના પ્લાનને અંજામ આપી શકે છે. ડ્રોન ખુબ નીચે પણ ઉડી શકે છે. અને જેને કારણે રડારની પકડની બહાર રહે છે.
આ પણ વાંચો: સ્વદેશી વેક્સિન છે દમદાર: કોવેક્સિનના ત્રીજા ટ્રાયલના આંકડા આવ્યા સામે, જાણો કેટલી છે અસરકારક