Pakistan News : ઈમરાન ખાન પર ફરી ધરપકડની તલવાર લટકી, હવે આ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું
વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ 75થી વધુ કેસ નોંધાયા છે. ઈમરાન ખાન આમાંથી ઘણા કેસમાં જામીન પર બહાર છે. ઈમરાન ખાન વિરુદ્ધ એકલા ઈસ્લામાબાદમાં જ બે ડઝન કેસ નોંધાયેલા છે.
પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાન ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. બુધવારે ઇસ્લામાબાદની એક કોર્ટે મહિલા જજને ધમકી આપવા બદલ ઇમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. કોર્ટે પોલીસને ઈમરાન ખાનની ધરપકડ કરવા અને કેસની આગામી સુનાવણી 18 એપ્રિલના રોજ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, સિવિલ જજ મલિક અમ્માને આ કેસમાં ચુકાદો અનામત રાખતા ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશે ઈમરાન ખાનની તે અરજી પણ ફગાવી દીધી છે, જેમાં પૂર્વ પીએમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની માંગ કરવામાં આવી હતી.
પોલીસે ગયા વર્ષે 20 ઓગસ્ટે આ મામલે ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઈમરાન ખાન પર આરોપ છે કે તેણે એક રેલી દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેબા ચૌધરી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.
શું છે મામલો?
હકીકતમાં, રેલી દરમિયાન, ઈમરાન ખાને જજ જેબા ચૌધરી પર કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે તે જાણતી હતી કે તેણે જેલમાં બંધ પીટીઆઈ નેતા શાહબાઝ ગિલને ટોર્ચર કર્યા હતા, પછી જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
જણાવી દઈએ કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ આ મામલે ઈમરાન ખાનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પૂર્વ પીએમએ માફી માંગી હતી. ઈમરાનની માફી પર સંતોષ વ્યક્ત કરતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેની નોટિસ પાછી ખેંચી લીધી હતી, પરંતુ મામલો હજુ નીચલી કોર્ટમાં પેન્ડિંગ છે.
સરકારી ખજાના ચોરી કેસમાં 30 માર્ચે હાજર થવા હુકમ
ટ્રિબ્યુન ડોટ કોમના અહેવાલ મુજબ, ઈમરાન ખાનના વકીલ અલી ગોહરે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઈમરાન ખાન સરકારી ખજાનાની ચોરીના કેસમાં 30 માર્ચે કોર્ટમાં હાજર રહેશે, તેથી તેમને તે જ દિવસે આ કેસમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે. . જોકે કોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.