ધર્મના આધાર પર બનેલા Pakistan એ કર્યો હતો સંવિધાનમાં બદલાવ, મુસ્લિમોની એક કોમ્યુનિટીને જાહેર કરવામાં આવી બિન-મુસ્લિમ, તોડી નાખી તેઓની મસ્જિદ
એવો દાવો કરવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં અહમદિયા સમુદાયની વસ્તી 12 મિલિયનની નજીક છે, જ્યારે પાકિસ્તાનમાં (Pakistan) લગભગ 2.5 મિલિયન અહમદી મુસ્લિમો છે. ભારતમાં પણ લગભગ 1 લાખ અહમદિયા મુસ્લિમો રહે છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આર્થિક સંકટ એટલું મોટું છે કે દેશ નાદારીની આરે ઉભો છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનના કરાચીમાં લઘુમતી અહમદિયા સમુદાયની મસ્જિદના ગુંબજ અને મિનારા તોડી નાખ્યા હતા.
અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યા
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો અને વીડિયોમાં, લોકો કરાચીના સદરમાં અહમદી મસ્જિદની ટોચ પર ચડતા અને મસ્જિદના માળખાને હથોડાથી મારતા જોવા મળે છે. અહમદિયા સમુદાયની મસ્જિદ પર હુમલા બાદ પાકિસ્તાનની ધાર્મિક કટ્ટરતા ફરી એકવાર સામે આવી છે.
વર્ષ 1974 માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી જુલ્ફીકાર અલી ભુટ્ટો હતા. તે સમયે તેઓએ સંવિધાનમાં બદલાવ કર્યો હતો અને અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમાં બદલાવ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમને કહ્યુ હતું કે, તેઓ મસ્જિદમાં જઈ શકે નહી.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે અહમદી મુસલમાન કોણ છે અને પાકિસ્તાનના મુસલમાનોને તેમની મસ્જિદોને લઈને સમસ્યા કેમ છે? અહમદી મસ્જિદ પર હુમલો પાકિસ્તાનમાં લાંબા સમયથી અહમદીયાના પૂજા સ્થાનો પર હુમલાઓ થઈ રહ્યા છે અને તાજેતરમાં કરાચીમાં જમશેદ રોડ પર અહમદિયા જમાત ખાટાના મિનારાઓને તોડી પાડવામાં આવ્યા હતા.
ANIના અહેવાલ મુજબ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલીસે પંજાબના ગુજરાનવાલામાં એક મસ્જિદમાંથી મિનારા હટાવી દીધા હતા. મીડિયા અહેવાલો અનુસાર, તોડફોડ કરનારાઓ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના સભ્યો છે અને જે મસ્જિદના મિનારાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે તે અહમદી મસ્જિદ છે. તમને જણાવી દઈએ કે તહરીક-એ-લબૈક એ જ પાર્ટી છે જેના નેતા મૌલાના સાદ રિઝવી તાજેતરના એક વીડિયોમાં ઉશ્કેરણીજનક નિવેદન આપતા જોવા મળ્યા હતા.
અહમદિયા કોણ છે?
અહમદિયા ભારતના પંજાબમાં અમૃતસર નજીક કાદિયાનમાં ઉદ્ભવ્યો હતો. મિર્ઝા ગુલામ અહમદે 1889માં અહમદિયા ચળવળની સ્થાપના કરી અને તેને ઇસ્લામમાં સુધારાની હાકલ કરતી ચળવળ તરીકે પ્રોત્સાહન આપ્યું. મિર્ઝા ગુલામ અહેમદને પણ ઈસ્લામના રક્ષણ માટે મસીહા તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા અને અહમદિયા મુસ્લિમોની વેબસાઈટ દાવો કરે છે કે આ મુસ્લિમો સમગ્ર વિશ્વમાં લગભગ 200 દેશોમાં ફેલાયેલા છે.
મિર્ઝા ગુલામે અહમદે લોકોને કહ્યું કે તેમને અલ્લાહ દ્વારા ઇસ્લામના ઉપદેશો ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં અહમદિયા સમુદાયની વસ્તી 12 મિલિયનની નજીક છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 2.5 મિલિયન અહમદી મુસ્લિમો છે. ભારતમાં પણ લગભગ 1 લાખ અહમદિયા મુસ્લિમો રહે છે.