Breaking News :શું અમેરિકા હવે ઈરાન પર પણ હુમલો કરશે? ટ્રમ્પે આપી ચેતવણી, કહ્યું- ‘તેહરાન ખાલી કરો’
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાન ખાલી કરવાનું આહ્વાન સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની ગયું છે. ટ્રમ્પના આ નિવેદન પછી, યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ઘટાડો થયો, જેના પછી તેલના ભાવમાં તીવ્ર વધારો થયો. જો આ રીતે ચાલુ રહેશે તો ભારતને પણ નુકસાન સહન કરવું પડશે.

દુનિયાની નજર ફરી એકવાર પશ્ચિમ એશિયા પર કેન્દ્રિત થઈ ગઈ છે. આ ક્ષેત્રમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષથી દુનિયાભરમાં ચિંતા વધી રહી છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાનું બંધ કરવા કડક ચેતવણી આપી છે.
ટ્રમ્પે તેહરાનને ખાલી કરવા કહ્યું હતું, ત્યારબાદ મંગળવારે એશિયન બજારોમાં શરૂઆતના કારોબાર દરમિયાન તેલના ભાવમાં લગભગ 2%નો ઉછાળો જોવા મળ્યો હતો. આ નિવેદનથી ઇઝરાયલ-ઈરાન તણાવ ઓછો થવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે બજારોમાં અનિશ્ચિતતા વધી છે. ઉપરાંત, અમેરિકાના વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પની આ અપીલ ભારત પર પણ અસર કરશે. કારણ કે જો તેલના ભાવ વધશે તો ભારતને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
G7 સમિટ અધુરી મુકિ અમેરિકા પાછા ફર્યા ટ્રમ્પ
તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઘણી પોસ્ટ કરી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં તેહરાનના લોકોને તાત્કાલિક શહેર ખાલી કરવાની સલાહ આપી. આ સાથે, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે ટ્રમ્પ “ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ” પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે G7 સમિટ વહેલા છોડી રહ્યા છે.
ઈરાન મુદ્દો ઉકેલાય તો શાંતિ આવશે – G-7 સમિટ
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત તમામ G-7 નેતાઓએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જો ઈરાન મુદ્દો ઉકેલાય તો આ ક્ષેત્રમાં તણાવ ઓછો થઈ શકે છે. આમાં ગાઝામાં યુદ્ધવિરામનો પણ સમાવેશ થાય છે. G-7 દેશોએ ઈઝરાયલને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે તેને સ્વ-બચાવનો સંપૂર્ણ અધિકાર છે.
તણાવ વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે
વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, તેહરાને સંકેત આપ્યો છે કે તે ઇઝરાયલ સાથે તણાવ ઘટાડવા માંગે છે અને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર છે, જો વોશિંગ્ટન ઇઝરાયલી હુમલાઓમાં સામેલ ન થાય. રોઇટર્સના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાન દ્વારા આ સંદેશ મોકલ્યો છે. વિશ્લેષકો માને છે કે જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ મર્યાદિત રહેશે, તો તેની બજારો પર વધુ અસર નહીં પડે. પરંતુ ટ્રમ્પના નિવેદન અને તેલના વધતા ભાવે ભારત જેવા આયાત-આધારિત દેશો માટે ચિંતા વધારી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો