નેપાળ પૂર: હિન્દુઓના મૃતદેહોને શા માટે દફનાવવામાં આવી રહ્યા છે? 5 પ્રશ્નોમાં જાણો આંતરરાષ્ટ્રીય નિયમો અને DNA ઓળખની પ્રક્રિયા
નેપાળમાં ભોટેકોશી પૂર અને ભૂસ્ખલન બાદ મળેલા 735 મૃતદેહોમાંથી મોટાભાગના અજાણ્યા અને ક્ષત-વિક્ષત હોવાથી તંત્ર દ્વારા એરટાઈટ બેગમાં દફનાવવામાં આવી રહ્યા છે. WHO અને ICRC ના આંતરરાષ્ટ્રીય નિયમો, DNA સેમ્પલિંગ અને ભવિષ્યમાં પરિવારોને સોંપવાની પ્રક્રિયા વિશે જાણો વિગતવાર.

નેપાળમાં ભોટેકોશી પૂર અને ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 735 જેટલા મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર 20 જેટલા મૃતદેહોની જ ઓળખ થઈ શકી છે. મોટી સંખ્યામાં હિન્દુઓના મૃતદેહો નદીના પ્રવાહ સાથે દૂર-દૂરના વિસ્તારો સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં સરકાર સામે સૌથી મોટો પડકાર આ મૃતદેહોને સુરક્ષિત રાખવા અને તેમની સચોટ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે.
એકલા ચિતવન જિલ્લામાંથી નદી કિનારેથી 264 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાંથી માત્ર 4 ની ઓળખ થઈ શકી હતી. બાકીના મૃતદેહો હોસ્પિટલો અને અસ્થાયી શેલ્ટર્સમાં રાખવામાં આવ્યા હતા. મૃતદેહોની સંખ્યા વધવા અને તે સડવા લાગવાના કારણે તંત્રે અજાણ્યા અને બિનવારસી મૃતદેહોને એરટાઇટ (હવાચુસ્ત) બેગમાં પેક કરીને જમીનમાં દફનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ શું કુદરતી આપત્તિ બાદ અજાણ્યા મૃતદેહોને દફનાવવા આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ યોગ્ય છે?
1. સરકાર મૃતદેહોને કેમ દફનાવી રહી છે?
સરકારનું કહેવું છે કે ખૂબ મોટી સંખ્યામાં મૃતદેહો હોવાને કારણે તેમને લાંબા સમય સુધી હોસ્પિટલો કે ખુલ્લી જગ્યામાં રાખવા મુશ્કેલ બની રહ્યા છે. મૃતદેહો ડીકંપોઝ થવા લાગ્યા છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે. નેપાળ પોલીસના પ્રવક્તા ડીઆઈજી અભિનારાયણ કાફલેના જણાવ્યા અનુસાર, તમામ મૃતદેહોને એરટાઈટ બેગમાં રાખીને દફનાવવામાં આવી રહ્યા છે. દરેક મૃતદેહનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં ઓળખ થતાં જ તેને બહાર કાઢીને પરિવારને સોંપી શકાય.
2. શું અજાણ્યા મૃતદેહોને દફનાવવા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ યોગ્ય છે?
હા, પરંતુ ચોક્કસ શરતો સાથે. ICRC (ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ), WHO અને IFRC ની ગાઇડલાઇન મુજબ, અજાણ્યા મૃતદેહોને અસ્થાયી ધોરણે દફનાવી શકાય છે, જો ભવિષ્યમાં તેમને ઓળખીને પરિવારજનોને સોંપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હોય. આ નિયમોમાં દરેક મૃતદેહ માટે સ્પષ્ટ માર્કિંગવાળી અલગ કબરને પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે, મોટા પાયે ખુવારી અને મર્યાદિત સંસાધનો હોય ત્યારે વ્યવસ્થિત અને ટ્રેસ કરી શકાય તેવા સામૂહિક ખાડાનો ઉપયોગ કરી શકાય છે.
3. દફનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
- સૌથી મહત્વપૂર્ણ એ છે કે દરેક મૃતદેહને એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે.
- મૃતદેહ અને તેની બેગ પર વોટરપ્રૂફ ટેગ લગાવવો જોઈએ અને તે જ નંબર કબર પર પણ લખવો જોઈએ.
- ICRC મુજબ દફન સ્થળનો નકશો, સચોટ રેકોર્ડ અને GPS લોકેશન નોંધવું અનિવાર્ય છે.
- સામાન્ય માર્ગદર્શિકા મુજબ કબરની ઊંડાઈ 1.5 થી 3 મીટર હોવી જોઈએ અને તે જળ સ્ત્રોતોથી સુરક્ષિત અંતરે હોવી જોઈએ.
- જમીનમાં દફનાવવાનો અર્થ મૃતદેહને કાયમ માટે ગાયબ કરવાનો નથી, પણ ભવિષ્યમાં તેને પુનઃ પ્રાપ્ત કરી શકાય તે રીતે સુરક્ષિત કરવાનો છે.
4. શું મૃતદેહોને તાત્કાલિક દફનાવવા જરૂરી છે?
WHO અનુસાર માત્ર રોગચાળાના ડરથી ઉતાવળમાં સામૂહિક અંતિમ સંસ્કાર કે દફનવિધિ કરવી યોગ્ય નથી. દફનાવતા પહેલાં ફોટોગ્રાફ્સ, કપડાં, અંગત સામાન અને શારીરિક નિશાનોનો રેકોર્ડ નોંધવો જરૂરી છે. નેપાળના ફોરેન્સિક એક્સપર્ટ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, ઓળખ માટે સૌપ્રથમ ચહેરો અને શારીરિક ચિહ્નો, ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અને દાંતના રેકોર્ડ તથા અંતે DNA ટેસ્ટિંગ નો ઉપયોગ કરવામાં આવે છે. નેપાળ પોલીસ દરેક મૃતદેહમાંથી DNA સેમ્પલ લઈ રહી છે.
5. પૂર હોનારતમાં મૃતદેહોની ઓળખ કરવી કેમ મુશ્કેલ બને છે?
પૂરમાં મૃતદેહો પાણી અને કાદવમાં લાંબા સમય સુધી વહી જવાથી અત્યંત ક્ષત-વિક્ષત થઈ જાય છે. નેપાળ પોલીસ મુજબ મળેલા મૃતદેહોમાંથી 211 મૃતદેહો સંપૂર્ણપણે ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં હતા. આવા કિસ્સાઓમાં ફક્ત ચહેરો જોઈને ઓળખ કરવી અસંભવ બને છે, તેથી DNA, ફિંગરપ્રિન્ટ અને ડેન્ટલ રેકોર્ડ જ મુખ્ય આધાર બને છે. ઇન્ટરપોલ (INTERPOL) પણ આવી મોટી દુર્ઘટનાઓમાં ઓળખ માટે DVI સિસ્ટમ (ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન) ના વૈજ્ઞાનિક માર્ગો અપનાવવાની ભલામણ કરે છે.
આથી નેપાળમાં અજાણ્યા મૃતદેહોને જમીનમાં દફનાવવું એ વૈશ્વિક નિયમોની વિરુદ્ધ નથી, પરંતુ શરત માત્ર એટલી છે કે દરેક મૃતદેહનો DNA ડેટા, કબરનું GPS લોકેશન અને ઓળખ ક્રમાંક સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવે જેથી શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના અવશેષો મળી શકે.
