Pakistan: ‘જેલમાં મારા પતિને જીવનું જોખમ, આપી શકાય છે ઝેર’, બેગમ બુશરાને પતિના મોતનો છે ડર
ઈમરાન ખાનની (Imran Khan) બેગમ બુશરાએ (Bushra Bibi) કહ્યું કે દેશના પૂર્વ પીએમ હોવાના કારણે તેમના પતિને જેલમાં ઘરનું રાંધેલું ભોજન જમવાની છૂટ આપવી જોઈએ. જેલ મેન્યુઅલ મુજબ ઈમરાન ખાનને 48 કલાકની અંદર તમામ સુવિધાઓ મળવી જોઈતી હતી. પરંતુ 12 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી તે તમામ સુવિધાઓ મળી રહી નથી.
![Pakistan: 'જેલમાં મારા પતિને જીવનું જોખમ, આપી શકાય છે ઝેર', બેગમ બુશરાને પતિના મોતનો છે ડર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Bushra-Bibi-Imran-Khan.jpg?w=1280)
પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનની (Imran Khan) બેગમ બુશરા બીબીને (Bushra Bibi) તેમના પતિના મૃત્યુનો ડર હેરાન કરી રહ્યો છે. એટોક જેલમાં બંધ પોતાના પતિની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા બુશરાએ કહ્યું છે કે “ઈમરાન ખાનને જેલમાં ઝેર આપી શકાય છે”. બેગમ બુશરાએ ઈમરાનને અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આ માટે તેણે પંજાબના હોમ સેક્રેટરીને પત્ર લખ્યો છે. ઈમરાનની પત્ની બુશરાએ કહ્યું, “મારા પતિને કોઈ કારણ વગર એટોક જેલમાં કેદ કરવામાં આવ્યા છે. કાયદા મુજબ મારા પતિને અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. તોશાખાન કેસમાં કોર્ટે પીટીઆઈ ચીફને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમના પર એવા આરોપો હતા કે તેમણે તેમના પીએમ કાર્યકાળ (2018-22) દરમિયાન સસ્તા ભાવે સરકારી ભેટો વેચી હતી. આ સજા બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે તેના પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે.
જેલમાં ઈમરાનને મળવી જોઈએ બી કેટેગરીની સુવિધાઓ
ગૃહ સચિવને લખેલા પત્રમાં બુશરા બીબીએ કહ્યું હતું કે તેમના પતિ (પીટીઆઈના વડા ઈમરાન ખાન)ને તેમની સામાજિક અને રાજકીય સ્થિતિ મુજબ જેલમાં બી-કેટેગરીની સુવિધાઓ આપવામાં આવવી જોઈએ કારણ કે તેઓ ઓક્સફર્ડના સ્નાતક છે અને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. છે. બેગમ બુશરાએ કહ્યું કે એટોક જેલમાં આવી કોઈ સુવિધા નથી.
‘હજુ પણ જોખમમાં છે ઈમરાનનો જીવ’
તેણે કહ્યું કે એટોક જેલમાં તેના પતિનો જીવ જોખમમાં છે. તેને ઝેર આપવામાં આવા શકે છે. ઈમરાનની બેગમ બુશરાએ વધુમાં કહ્યું કે દેશના પૂર્વ પીએમ હોવાના કારણે તેમના પતિને જેલમાં ઘરનું રાંધેલું ભોજન જમવાની છૂટ આપવી જોઈએ. તેમને કહ્યું કે જેલ મેન્યુઅલ મુજબ ઈમરાન ખાનને 48 કલાકની અંદર તમામ સુવિધાઓ મળવી જોઈતી હતી. પરંતુ 12 દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તે તમામ સુવિધાઓ મળી નથી.
આ પણ વાંચો: Canada: જંગલની આગ નિયંત્રણ બહાર, કેનેડિયન શહેરને ખાલી કરવાનો આદેશ
અગાઉ પણ થયા હતા બે વાર હત્યાના પ્રયાસો
ઈમરાનની પત્નીએ કહ્યું કે જેલના નિયમો મુજબ મારા પતિને ખાનગી ડોક્ટર દ્વારા મેડિકલ તપાસ કરાવવાનો અધિકાર છે. બુશરાએ વધુમાં કહ્યું હતું કે આ પહેલા ઈમરાન ખાનની હત્યાના બે વાર પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમાં સામેલ આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પીટીઆઈ કોર કમિટીએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ કહ્યું કે પાર્ટીના વડા ઈમરાન ખાન સ્લો પોઈઝનિંગથી પીડિત હોઈ શકે છે. તેમને તાત્કાલિક ઘરે બનાવેલ ખોરાક અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો