પુતિન પર મારીયુપોલનો મોટો આરોપ, રશિયન પ્રમુખને હિટલર કરતા વધુ ક્રૂર કહ્યો, 82 દિવસમાં 20 હજાર લોકોને માર્યાનો દાવો
બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં (Russia Ukraine War) ન તો પુતિનની સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી હાર સ્વીકારવા તૈયાર છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું ખરેખર મુશ્કેલ છે.
Russia Ukraine War: રશિયા (Russia) અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ત્રણ મહિના થવા આવ્યા છે. આ યુદ્ધમાં ન તો પુતિનની સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હાર સ્વીકારવા તૈયાર છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું ખરેખર મુશ્કેલ છે. આટલા દિવસોના યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના (Ukraine) ઘણા શહેરોને તબાહ કરી નાખ્યા. આમાં કિવ, ખાર્કીવ, મેરીયુપોલ લ્વીવ સહિત ઘણા શહેરોનો સમાવેશ થાય છે. આ દરમિયાન મારીયુપોલના મેયરે પુતિન પર મોટા આરોપો લગાવ્યા છે. મેયરે રશિયન રાષ્ટ્રપતિને હિટલર કરતા પણ વધુ ક્રૂર ગણાવ્યા છે. આ સિવાય તેણે 82 દિવસમાં 20 હજાર લોકોની હત્યા કરવાનો દાવો કર્યો છે.
એક દિવસ પહેલા જ યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે 82 દિવસના યુદ્ધમાં રશિયાના 27, 700 સૈનિકોના મોત થયા છે. 200 થી વધુ રશિયન વિમાનો નાશ પામ્યા છે. આ સિવાય 165 હેલિકોપ્ટર અને 1228 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે. જોકે રશિયન સૈન્ય હંમેશા યુક્રેનના આવા દાવાને ફગાવી દે છે. યુદ્ધમાં બંને દેશોને વાસ્તવિક રીતે કેટલું નુકસાન થયું હશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. 80 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા લેન્ડમાઈન યુદ્ધથી યુક્રેન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.
મારીયુપોલમાં 694 યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના કબજા હેઠળના છેલ્લા વિસ્તારમાં છુપાયેલા તેના લગભગ એક હજાર સૈનિકો મારીયુપોલ શહેરમાંથી નીકળી ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનશેન્કોવે બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન 694 યુક્રેનિયન સૈનિકોએ મારીયુપોલના અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં આત્મસમર્પણ કર્યું છે. આ પછી આ અઠવાડિયે પ્લાન્ટ છોડનારા યુક્રેનિયન સૈનિકોની સંખ્યા 959 થઈ ગઈ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે કહ્યું કે યુક્રેનના 51 ઘાયલ સૈનિકો સહિત 265 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. યુક્રેનિયન અધિકારીઓએ નવા નંબરોની પુષ્ટિ કરી નથી. કોનશેનકોવે કહ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન 694 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે, જેમાંથી 29 ઘાયલ થયા છે.
લ્વીવ વિસ્ફોટોથી હચમચી ગયો
તમને જણાવી દઈએ કે આટલા દિવસોના યુદ્ધ પછી પણ રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. મંગળવારે યુક્રેનનું પશ્ચિમી શહેર લ્વીવ અનેક વિસ્ફોટોથી હચમચી ગયું હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ઓછામાં ઓછા આઠ વિસ્ફોટ થયા હતા. લ્વીવ પ્રાદેશિક આર્મી એડમિનિસ્ટ્રેશનના વડા, એમ. કોજીત્સ્કીએ જણાવ્યું હતું કે રશિયનોએ યવોરિવ જિલ્લામાં લશ્કરી માળખા પર ગોળીબાર કર્યો હતો. યવોરીવ શહેર પોલેન્ડની સરહદથી લગભગ 15 કિલોમીટર દૂર છે. લ્વીવના મેયર એન્ડ્રે સદોવીએ ફેસબુક પર જણાવ્યું હતું કે શહેરમાં મિસાઈલો મારવાની કોઈ પુષ્ટિ નથી.