પાકિસ્તાન માટે નહીં, પોતાના રાજકીય હિત માટે યુદ્ધ લડે છેઃ શાહબાઝ શરીફ-અસીમ મુનિરને સંસદમાં સંભળાવતા સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ઈસ્લામાબાદમાં ગત શુક્રવારે એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાનમાં રાજકીય વિભાજન સર્જાયું છે. જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સૈન્યની ભૂમિકા અંગે તીવ્ર મતભેદ ઉભરી આવ્યા છે. જો કે, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ગઈકાલ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, યુદ્ધો દેશ માટે નહીં, પરંતુ રાજકીય હિતો માટે લડવામાં આવે છે.

સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે, નેશનલ એસેમ્બલીમાં કરેલ ટિપ્પણીએ, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડા પ્રધાન શાહબાઝ શરીફનું ધ્યાન ખેંચ્યું છે. આ બન્નેએ અવારનવાર અફઘાનિસ્તાન અને ભારત સામે યુદ્ધ કરવાની ધમકીઓ ઉચ્ચારી છે. પાકિસ્તાનની સંસદ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા મહમૂદ ખાન અચકઝાઈએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનની સેના ચાર જિલ્લાઓ સુધી જ મર્યાદિત રહી જવા પામી છે. આ ટિપ્પણી સામે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે વાંધો ઉઠાવ્યો હતો, તેમણે એ સ્વીકાર્યું હતું કે, દેશ હાલમાં યુદ્ધની વચ્ચે ઘેરાયેલ છે.
‘આપણે આપણા રાજકીય હિતો માટે યુદ્ધ લડી રહ્યા છીએ’
સંસદમાં સંબોધન કરતા, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, “આપણે આપણા રાજકીય હિતો માટે યુદ્ધ લડી રહ્યા છીએ. જો કોઈ કહે કે, આપણે દેશ માટે લડી રહ્યા છીએ, તો તે સાવ ખોટા છે. આપણે આપણા રાજકીય હિતો અને સત્તા માટે યુદ્ધ લડી રહ્યા છીએ. છેલ્લા 60-70 વર્ષોમાં, જ્યારે પણ કોઈને સત્તાથી વંચિત રાખવામાં આવ્યું, ત્યારે તેઓ તેના માટે લડ્યા, અને તે લડાઈમાં કોઈ મૂળભૂત સિદ્ધાંતોનો અભાવ હતો. જ્યારે પંજાબીઓને તેમના ઓળખપત્રો જોયા પછી ગોળી મારી દેવામાં આવે છે ત્યારે બલુચિસ્તાનમાંથી કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી. હું પ્રાંતીય ભેદભાવમાં માનતો નથી, પરંતુ મને અચકઝાઈની ટિપ્પણીનો સખત વિરોધ છે.”
નેશનલ એસેમ્બલીમાં આંકડા રજૂ કરતા, ખ્લાજા આસિફે કહ્યું કે, વિપક્ષી નેતાનું નિવેદન બેજવાબદાર હતું અને તેનો હેતુ રાષ્ટ્રીય સંસ્થાને બદનામ કરવાનો હતો. તેમણે ઉમેર્યું, “આ સંઘની શક્તિ છે, જેમાં તમામ પ્રાંતોનું પ્રતિનિધિત્વ છે. આ સમગ્ર દેશની શક્તિ છે.”
સેના પ્રતિનિધિત્વના આંકડા ફોકસમાં છે
જો કે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનમાં પ્રકાશિત એક અહેવાલને ટાંકીને, ખ્લાજા આસિફે જિલ્લા વસ્તીના આધારે સેનામાં પ્રાંતીય પ્રતિનિધિત્વ પર 2023 ની વસ્તી ગણતરીના ડેટાનો ઉલ્લેખ કર્યો હતો. આ આંકડા પંજાબમાંથી 51.1 ટકા, ખૈબર પખ્તુનખ્વામાં 16.28 ટકા, સિંધમાંથી 20.52 ટકા, બલુચિસ્તાનમાંથી 6.04 ટકા, પાકિસ્તાને પચાવી પાડેલ જમ્મુ અને કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી 2.54 ટકા અને લઘુમતી સમુદાયમાંથી 3.52 ટકા હતા.
‘ખૂબ જ લોહિયાળ યુદ્ધની વચ્ચે ફસાયેલા’
આસિફે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ કોઈ ચોક્કસ પ્રાંત કે જિલ્લા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. “આપણે એ શહીદોના ઋણી છીએ જેમણે આપણી સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આપણે ખૂબ જ લોહિયાળ યુદ્ધની વચ્ચે ફસાયેલા છીએ. આવા હુમલાઓ અને રક્તપાત આપણા ધર્મમાં વાજબી નથી,” તેમ પણ તેમણે કહ્યું હતુ.