ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધને લઈને અમેરિકન વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં અમેરિકન યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં દેખાવો થઈ રહ્યા છે. સમગ્ર અમેરિકાની 25 યુનિવર્સિટીઓમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધને લઈને પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે ભારતે પણ આ મામલે ટિપ્પણી કરી છે. ભારતના વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો અને વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. બીજાને શીખ આપવા કરતાં તેને અનુસરવું વધુ સારું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ મણીપુરની હિંસક ઘટનાઓને લઈને ભારતમા માનવ અધિકારના મુદ્દે ટિકા કરી હતી.
એવું માનવામાં આવે છે કે, અમેરિકા હંમેશા ભારતના વિરોધ પ્રદર્શન પર ટિપ્પણી કરતું રહ્યું છે. ભારતનો આ જવાબ અમેરિકાને ટોણો મારવા સમાન છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 100થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થતા હુમલા રોકવાની માંગ કરી રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે, અમેરિકામાં વિદ્યાર્થીઓનો વિરોધ એટલો મોટો છે કે, યુએસ નેશનલ ગાર્ડને તહેનાત કરવામાં આવી શકે છે. જ્યારે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધનો વિરોધ એટલો વધી ગયો છે કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. જે ટેન્ટમાં બાળકો વિરોધ કરી રહ્યા હતા તે પણ ઉખડી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓને કોલેજમાંથી હાંકી કાઢવાની ચેતવણી આપવામાં આવી છે.
અમેરિકામાં થઈ રહેલા આ વિરોધ પર ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન પણ સામે આવ્યું છે. નેતન્યાહુએ કહ્યું કે અમેરિકન યુનિવર્સિટીઓમાં ઈઝરાયેલના યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શનો ભયંકર સ્વરૂપ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે યહૂદી વિરોધીઓએ કોલેજ પર કબજો કરી લીધો છે. યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ભારતના આ નિવેદન પર અમેરિકાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ સમર્થન મળી રહ્યું છે. ઇજિપ્તની ઘણી યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓએ વિરોધ પણ શરૂ કરી દીધો છે.