જર્મનીના વિદેશમંત્રીએ પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે આપ્યું આ મહત્વનું નિવેદન
જર્મનીના વિદેશ મંત્રી બેરબોકે ( Annalena Baerbock) બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે રચનાત્મક અભિગમ તથા વિશ્વાસનું પ્રમાણ બંને દેશોના સંબંધો સુધારી શકે છે.
જર્મનીના(Germany) વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે ( Annalena Baerbock) મંગળવારે પાકિસ્તાનમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ તેમની ત્રણ દેશોની વિદેશ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. બેરબોક, મંગળવારે પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા અને ઈસ્લામાબાદમાં તેમના સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે મુલાકાત કરી હતી. જોકે ત્યાર બાદ તેમની તબીબી તપાસ કરતા તેઓ કોરોના સંક્રમિત જણાયા હતા.
બપોરના ભોજન સમયે બેરબોકને લાગ્યું હતું કે તેઓ ભોજનનો સ્વાદ લઈ શકતા નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે કેટલાક લક્ષણોને પગલે સવારે પણ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. પોતાની આગામી યાત્રામાં બેયરબોક ગ્રીસ અને તુર્કી જવાના હતા. જોકે હવો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા આગળના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કાશ્મીર મુદ્દે કહી મહત્વની વાત
બારબોક પાકિસ્તાનની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે રચનાત્મક અભિગમ તથા વિશ્વાસનું પ્રમાણ બંને દેશોના સંબંધો સુધારવા તથા કાશ્મીર (Jammu Kashmir)મુદ્દાના ઉકેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એક પ્રશ્નના જવાબમાં જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ યુએનના ઠરાવ અનુસાર કાશ્મીર મુદ્દાના ઉકેલનું સમર્થન કરે છે. બારબોકે 2021માં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ માટે સંમત થવાના પગલાને આવકાર્યું હતું અને બંને બાજુથી તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બિલાવલે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિનું વાતાવરણ કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ પર આધાર રાખે છે.
બિલાવલે મોહમ્મદ પયગંબર અંગે કહી આ વાત
સત્તાવાર સમાચાર એજન્સી એપીપીના અહેવાલ અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ કથિત રીતે અત્યાચાર અને ઈસ્લામોફોબિયાના વધતા જતા મામલાઓની તાત્કાલિક નોંધ લેવાનું આહ્વાન કર્યું હતું. મોહમ્મદ પયગંબર ઉપર ભાજપના નેતાઓ દ્વારા કરાયેલી તાજેતરની વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા બિલાવલે કહ્યું કે આવા “અપમાનજનક અને નિંદાત્મક નિવેદનોએ વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.” જોકે ભારતે વારંવાર પાકિસ્તાનને એ વાત કહી છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ હતું, છે અને હંમેશાં રહેશે. ભારતે પાકિસ્તાનને આ વાસ્તવિકતા સ્વીકારવાની અને ભારત વિરોધી પ્રચાર બંધ કરવાની સલાહ પણ આપી છે.