ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, કેસની ચોક્કસ સંખ્યાને ટ્રેક કરવુ અશક્ય બન્યુ
ચીન લાંબા સમયથી કોરોના વાયરસથી ત્રસ્ત છે અને સતત પ્રયાસો બાદ પણ તે કોરોનાની લહેર કાબુમાં લઈ શક્યુ નથી. સતત આલોચના બાદ ચીને ભૂતકાળમાં કડક નિયંત્રણો હળવા કર્યા હતા
આખી દુનિયામાં હાલમાં કોરોના મહામારી શાંત થઈ છે. તમામ દેશો હાલમાં વધારે સારી સ્થિતિમાં છે. કોરોનાના કારણે થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. તે બધા વચ્ચે ચીનના નાગરિકો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ચીન લાંબા સમયથી કોરોના વાયરસથી ત્રસ્ત છે અને સતત પ્રયાસો બાદ પણ તે કોરોનાની લહેર કાબુમાં લઈ શક્યુ નથી. સતત આલોચના બાદ ચીને ભૂતકાળમાં કડક નિયંત્રણો હળવા કર્યા હતા, પરંતુ કોરોના વાયરસના કારણે મૃત્યુના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. જોકે, સરકાર તેમને છુપાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના વાયરસને બદલે અન્ય રોગો જણાવવામાં આવી રહ્યા છે.
ચીનના પૂર્વી બેઇજિંગમાં શુક્રવારે સાંજે ઠંડીમાં સ્મશાનગૃહની બહાર સંખ્યા બંધ લોકો ઉભા હતા. કારણ કે તેઓ કોરોનાને કારણે મૃત્યુ પામેલા તેમના સંબંધીનો અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ચીનમાં લોકો શબને દફનાવીને પરંપરાગત અંતિમ સંસ્કાર કરવાને બદલે તેમને બાળીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.
ચીનમાં મૃત્યુના કેસ ફરી વધ્યા
ચીનમાં કોરોના વાયરસથી કોઈ મૃત્યુ કેસ ફરી વધી રહ્યા છે. આ મામલા એવા સમયે વધી રહ્યા છે જ્યારે સરકારે વ્યાપક વિરોધ વચ્ચે ગયા મહિને કોવિડ-19 સંબંધિત કડક પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કર્યું હતું.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, સંક્રમણને કારણે કેટલા લોકોના મોત થઈ રહ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે તેનો વૃદ્ધ સંબંધી ડિસેમ્બરની શરૂઆતમાં બીમાર પડ્યો હતો અને તે કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો અને શુક્રવારે સવારે ઇમરજન્સી વોર્ડમાં તેનું મોત થયું હતું.
મૃત્યુનું કારણ ન્યુમોનિયા
તેમણે કહ્યું કે ઘણા ચેપગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંભાળ રાખવા માટે પૂરતી નર્સો નહોતી. કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે કોવિડ-19થી ચેપ લાગ્યો હોવા છતાં મૃત્યુનું કારણ મૃત્યુ પ્રમાણપત્રમાં ન્યુમોનિયા તરીકે દર્શાવવામાં આવ્યું છે. સ્મશાનના પરિસરમાં આવેલી દુકાનોના ત્રણ કર્મચારીઓમાંથી એકનો અંદાજ છે કે દરરોજ લગભગ 150 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આરોગ્ય એજન્સીએ જણાવ્યુ છે કે, કોરોના કેસની ચોક્કસ સંખ્યાને ટ્રેક કરવુ અશક્ય બન્યુ.