ભારત બાદ હવે પાકિસ્તાનમાં પણ WHOના કોવિડ રિપોર્ટ પર સવાલો ઉભા થયા, સરકારે કહ્યું- તે સંપૂર્ણપણે પાયાવિહોણાં છે
તાજેતરના WHOના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં કોવિડથી 2,60,000 લોકોના મોત થયા છે, પરંતુ સત્તાવાર આંકડાઓ મુજબ પાકિસ્તાનમાં મૃત્યુઆંક 30,369 હતો.
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વભરમાં કોવિડ-19ના (Covid-19) કારણે થયેલા મૃત્યુ અંગેનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પર વિશ્વભરના દેશોએ પણ સવાલો ઉઠાવ્યા છે. ભારતમાં પણ WHOના આ રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોવિડને કારણે 47 લાખ લોકોના મોત થયા છે. ભારતે આ અંગે પોતાનો વાંધો પણ નોંધાવ્યો છે. હવે WHOના કોવિડ મૃત્યુઆંકના આ અહેવાલે પાકિસ્તાનમાં પણ પ્રશ્નો ઉભા કર્યા છે. પાકિસ્તાન સરકારે (Pakistan Government) દેશમાં કોવિડ-19ને કારણે થયેલા મૃત્યુની સંખ્યા અંગેના WHOના અહેવાલને ફગાવી દીધો છે.
પાકિસ્તાન સરકારે ડેટા એકત્રિત કરવા માટે યુએન બોડીની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે મૃતકોની સંખ્યા એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં ભૂલની આશંકા વ્યક્ત કરી છે. તાજેતરના WHOના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં કોવિડથી 2,60,000 લોકોના મોત થયા છે, પરંતુ સત્તાવાર આંકડાઓ મુજબ પાકિસ્તાનમાં મૃત્યુઆંક 30,369 હતો. સમા ન્યૂઝે સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલને ટાંકીને એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “અમે કોવિડને કારણે થયેલા મૃત્યુનો ડેટા જાતે જ એકત્રિત કરી રહ્યા છીએ, આમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ તે લાખોમાં ન હોઈ શકે. આ સંપૂર્ણપણે પાયાવિહોણું છે.
સોફ્ટવેરમાં ભૂલ છે
WHOએ ગુરુવારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં લગભગ 15 મિલિયન લોકોએ કોરોના વાઈરસ ચેપ અથવા આરોગ્ય પ્રણાલી પર તેની અસરને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મોટાભાગના લોકો દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રી પટેલે કહ્યું કે સરકારે વર્લ્ડ હેલ્થ બોડીના આંકડાને નકારી કાઢ્યા છે અને ગણતરીની પ્રક્રિયા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે અમે દેશમાં કબ્રસ્તાન, હોસ્પિટલ અને યુનિયન કાઉન્સિલમાંથી ડેટા એકત્ર કર્યો છે. સમા ન્યૂઝના સમાચાર મુજબ સરકારને WHO દ્વારા મૃત્યુની સંખ્યા એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં ભૂલની શંકા છે.
ભૂતપૂર્વ સરકારી અધિકારીએ સરકારનો બચાવ કર્યો હતો
તત્કાલીન વડાપ્રધાનના સ્વાસ્થ્ય સંબંધિત બાબતોના ભૂતપૂર્વ વિશેષ સહાયક, ફૈઝલ સુલતાને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કોરોના વાયરસ મૃત્યુ અંગે WHOનો ડેટા વિશ્વસનીય નથી. તેમણે સરકારના મૃત્યુ અહેવાલનો બચાવ કરતા કહ્યું કે મોટા શહેરોમાં કબ્રસ્તાનની સંખ્યાના અભ્યાસમાં રોગચાળાના પીડિતોની મોટી સંખ્યા બહાર આવી નથી. સુલતાને આંકડાઓને “અત્યંત સંવેદનશીલ” ગણાવ્યા કારણ કે તે વિશ્વભરના અધિકારીઓ દ્વારા કટોકટીના સંચાલનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું અમારો કોરોના વાયરસ મૃત્યુનો રેકોર્ડ સચોટ છે, પરંતુ મૃત્યુની 100 ટકા ચોક્કસ સંખ્યા હોવી શક્ય નથી, તે 10થી 30 ટકા ઓછી હોઈ શકે છે, પરંતુ તે આઠ ગણું વધુ કહેવું અવિશ્વસનીય છે.