Breaking News: તુર્કી બાદ રશિયામાં 5.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, કોઈ જાનમાલના નુકશાનની માહિતી મળી નથી
તુર્કી અને સીરિયા બાદ હવે રશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા 5.3 હતી.
તુર્કી અને સીરિયા બાદ હવે રશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રશિયાના કુરિલ ટાપુઓ પર મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે 6. 45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.3 જણાવવામાં આવી રહી છે. જો કે આ ભૂકંપમાં હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
તુર્કીમાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત ઘણા દેશોની સરકારો અને સહાય જૂથો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે તેમના બચાવ કર્મચારીઓ, નાણાકીય મદદ અને સાધનો મોકલી રહ્યા છે.
વધી શકે છે મૃત્યુઆંક
એવી આશંકા છે કે સોમવારે સવારે પહેલાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી શકે છે, કારણ કે બચાવકર્મીઓ મંગળવારે કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના શહેર ગાઝિયનટેપથી લગભગ 30 કિલોમીટર દૂર હતું. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ શોપિંગ મોલ, સ્ટેડિયમ, મસ્જિદો અને સામુદાયિક કેન્દ્રોમાં આશ્રય લીધો છે.
તુર્કીની મદદ માટે ઘણા દેશો આગળ આવ્યા
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારત અને અમેરિકા સહિત અનેક સરકારો મદદ માટે આગળ આવી છે. ભારતમાંથી NDRFની ટીમો રવાના કરવામાં આવી છે. સાથે જ અમેરિકાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનને ફોન કરીને સંકટની આ ઘડીમાં તુર્કી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મદદની ઓફર કરી છે.
2001માં કચ્છના ભૂકંપને PM મોદીએ યાદ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક (BJP Parliamentary Party Meeting) માં ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કરી ભાવુક થઈ ગયા હતા. ગુજરાતમાં કચ્છના ભૂકંપને યાદ કરતાં પીએમે કહ્યું કે, અમે પણ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભારત તુર્કીને શક્ય તમામ મદદ કરશે.
ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કી અને સીરિયાના ભૂકંપની દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2001માં કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું કે, આપણે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. અમે (ભારત) આ મુશ્કેલ સમયમાં તુર્કીને શક્ય તમામ મદદ કરીશું.