શું તમારી ઈજા રૂઝાતા વાર લાગે છે? શરીરમાં આ એક તત્વની ઉણપ હોઈ શકે છે, જાણો કેવી રીતે
ઘણીવાર ઈજા થયા પછી આરામ અને દવા કરવા છતાં રિકવરી ધીમી હોય છે. નિષ્ણાતોના મતે જો તમારા શરીરમાં આ વિટામિનનું સ્તર ઓછું હોય તો હાડકાં જોડાવાની અને સ્નાયુઓના સમારકામની પ્રક્રિયા ખોરવાઈ શકે છે.

ઈજામાંથી બહાર આવવા માટે આપણે સામાન્ય રીતે આરામ અને ફિઝિયોથેરાપી પર ધ્યાન આપીએ છીએ પરંતુ એક મહત્વનું પરિબળ જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ તે છે પોષણ અને ખાસ કરીને વિટામિન D. નિષ્ણાતોના મતે વિટામિન D ની હાજરી વિના શરીર કેલ્શિયમનો ઉપયોગ કરી શકતું નથી જે હાડકાંના નિર્માણ માટે પ્રાથમિક ઘટક છે.
હાડકાં અને સ્નાયુઓની રિકવરીમાં વિટામિન D નો ફાળો
જ્યારે કોઈ હાડકું તૂટે છે ત્યારે શરીર કુદરતી રીતે તેને જોડવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ સમયે શરીરને સતત ખનિજોની જરૂર હોય છે. વિટામિન D ના અભાવે હાડકાં પોતાની પૂરી તાકાત મેળવી શકતા નથી જેનાથી ફ્રેક્ચર રૂઝાવામાં વિલંબ થાય છે. એટલું જ નહીં સ્નાયુઓ અને નરમ પેશીઓની મજબૂતી માટે પણ આ વિટામિન અનિવાર્ય છે. તેની ઉણપથી નબળાઈ અને થાકનો અનુભવ થાય છે જે રિકવરીને વધુ ધીમી બનાવે છે.
સોજા પર નિયંત્રણ અને સર્જરી પછીની અસર
ઈજા પછી શરીરમાં સોજો આવવો એ સ્વાભાવિક પ્રક્રિયા છે પરંતુ તેને નિયંત્રિત કરવો જરૂરી છે. વિટામિન D સોજાને ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જે દર્દીઓમાં વિટામિન D નું સ્તર પૂરતું હોય છે તેઓ સર્જરી કે લિગામેન્ટ ઈજા પછી ખૂબ જ ઝડપથી સાજા થઈ શકે છે અને તેમની ગતિશીલતા વહેલી પાછી આવે છે.
ઉણપના લક્ષણો અને સ્ત્રોત
જો તમને સતત દુખાવો રહેતો હોય સ્નાયુઓમાં નબળાઈ અનુભવાય કે વારંવાર ઈજા થતી હોય તો તે વિટામિન D ની ઉણપના સંકેત છે. સૂર્યપ્રકાશ વિટામિન D નો સૌથી કુદરતી સ્ત્રોત છે. વહેલી સવારની હૂંફાળી ધૂપમાં રહેવાથી અને દૂધ ઈંડા કે પૌષ્ટિક ખોરાક લેવાથી આ ઉણપ પૂરી કરી શકાય છે. જોકે સપ્લીમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
યાદ રાખો કે સારવાર કરતા નિવારણ હંમેશા શ્રેષ્ઠ છે. નિયમિત ચેકઅપ અને સૂર્યપ્રકાશનો સહારો લઈને તમે તમારી રિકવરી પ્રોસેસને વેગ આપી શકો છો.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
