Valsad : જિલ્લામાં લમ્પી વાયરસને રોકવા જિલ્લા કલેકટરે યોજી બેઠક, મૃત પશુના નિકાલ માટે અધિકારીઓને તાકીદ કરાઈ
વલસાડ (Valsad) જિલ્લામાં અત્યાર સુધી 11,300 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. હવે રાજ્ય સરકારમાંથી વધુ 3 હજાર ડોઝ આવતા હાલ જિલ્લામાં 14300 ડોઝ ઉપલબ્ધ છે.
વલસાડ(Valsad ) જિલ્લામાં લમ્પી વાયરસ અંગે સતર્કતા અને આ રોગને વધતો અટકાવવા માટે માટે જિલ્લા કલેકટર(Collector ) ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક રાખવામાં આવી હતી. જેમાં દૂધ મંડળીઓ સાથે સંકલન કરીને પ્રાથમિક ધોરણે પશુપાલકોના દૂધાળા પશુઓ અને રખડતા ઢોરોનું તાકીદના ધોરણે રસીકરણ કરવા માટે સૂચન કર્યું હતું. આ સાથે જ જરૂરીયાત મુજબનો રસીનો સ્ટોક પણ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવાનું અને તંત્રને આ સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં ત્વરિત ધોરણે લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં અત્યાર સુધી ફક્ત એક જ કેસ
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ફક્ત એક જ પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. જો કે હાલમાં લમ્પી વાયરસને પશુઓમાં વકરતો અટકાવવા માટે પ્રશાસન એકશન મોડમાં આવી ગયું છે અને બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં પશુપાલન વિભાગ દ્વારા રોજેરોજ થતી કામગીરીનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે રાખવામાં આવેલી બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું જિલ્લાની દૂધ મંડળીનો સંર્પક કરી દૂધાળા પશુઓનું રસીકરણ પ્રાયોરીટીના ધોરણે કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુઓથી લમ્પી વાયરસનો રોગ વધુ પ્રસરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જેથી તેઓનું પણ તાત્કાલિક ધોરણે વેક્સિનેશન થઈ શકે તે માટે વલસાડ અને વાપી નગરપાલિકાને રખડતા ઢોરોને પકડવા અને તેઓનું તાકીદના ધોરણે રસીકરણ કરવા માટે પશુપાલન ખાતાને સૂચના આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન…જિલ્લાની દૂધ મંડળીઓમાં પ્રાથમિકતાના ધોરણે દૂધાળા પશુઓનું તથા રખડતા ઢોરોનું રસીકરણ કરાશે.@Min_FAHD @CMOGuj @pkumarias @DDO_VALSAD @InfoValsadGoG pic.twitter.com/Z42XotJgSg
— Collector Valsad (@collectorvalsad) August 2, 2022
રસીના વધુ ડોઝ ફાળવવામાં આવ્યા
જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 11,300 વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હતા. હવે રાજ્ય સરકારમાંથી વધુ 3 હજાર ડોઝ આવતા હાલ જિલ્લામાં 14300 ડોઝ ઉપલબ્ધ છે. જેથી વેક્સિનેશનની કામગીરી હવે વધુ વેગવંતી બનશે. નોંધનીય છે કે જિલ્લામાં અત્યાર સુધી લમ્પી વાયરસના કારણે એક પણ પશુનું મૃત્યુ થયુ નથી પરંતુ જો કદાચ એવી ઘટના બને તો સાવચેતીના ભાગ રૂપે મૃતદેહના નિકાલ માટે જગ્યા નક્કી કરી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. બીજું કે લમ્પી વાયરસ મચ્છર, માખી, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. જેથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને મચ્છર અને માખીનો ઉપદ્રવ અટકાવવા માટે ફોંગિગ સહિતના જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી હતી.