Valsad : ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરનાર દંપતી સામે કાર્યવાહી કરવા આવેદન
કૃષ્ણ ભગવાન (Lord Krishna )વિરુદ્ધ આપત્તીજનક લખાણ લખવામાં આવ્યું છે એ નહીં ચલાવી લેવામાં આવે. તેઓએ એ પણ માંગણી કરી હતી કે આ દંપતીએ લોકોની જાહેરમાં માફી પણ માંગવી જોઈએ.
વલસાડ (Valsad )જિલ્લાના ધરમપુર તાલુકાના એક દંપતીએ સોશિયલ મીડિયા (Social Media ) પર આખા જગતને અધ્યાત્મિકતાનું જ્ઞાન આપનાર ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna )વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. કૃષ્ણ ભગવાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આપત્તીજનક ટિપ્પણી થતા કૃષ્ણ ભક્તોની લાગણી દુભાઇ છે. જે સંદર્ભે સૈકડો લોકો વલસાડ સર્કિટ હાઉસ પર એકત્ર થયા હતા અને આપત્તીજનક ટિપ્પણી કરનાર દંપતી સામે કાયદેસર કાર્યવાહી કરવા કલેકટર અને ડીએસપીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા વિરલભાઈ પટેલ અને તેમની પત્ની મયુરીબેન પટેલે જન્માષ્ટમીના દિવસે સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણ વિશે ખૂબ જ આપત્તિ જનક લખાણો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટેટસ ઉપર મુક્યા હતા. સોશિયલ મીડિયા પર તેણે કરેલ લખાણમાં શ્રીકૃષ્ણ ભગવાન કેવી રીતે કહેવાય એવાં સવાલો ઉઠાવ્યા હતાં. તે ઉપરાંત ગોપીઓ અને કૃષ્ણની લીલા બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તળાવમાં સ્નાન કરતી ગોપીઓ સાથેના સંવાદ બાબતે કૃષ્ણે કરેલ કૃષ્ણલીલા સંદર્ભે પણ આ યુવાને ખૂબ જ આપત્તિજનક લખાણ લખી સમગ્ર જનસમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વમાં તેમનાં લાખો અનુયાયીઓ છે. ત્યારે ધરમપુર તાલુકાના યુવાન દ્વારા કરાયેલી આ હરકતને કારણે ધાર્મિક વૈમનસ્ય ઉભું થઇ રહ્યું છે. કૃષ્ણ ભક્તોમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યો છે. ત્યારે સેંકડો ભક્તોએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા પટેલ દંપતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા એસપી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર આપવા જનાર લોકોનું કહેવું હતું કે આ એ જ લોકો છે જેમણે અગાઉ પણ ભગવાન રામ વિરુદ્ધ એલફેલ લખાણો લખ્યા છે. અને હવે કૃષ્ણ ભગવાન વિરુદ્ધ આપત્તીજનક લખાણ લખવામાં આવ્યું છે એ નહીં ચલાવી લેવામાં આવે. તેઓએ એ પણ માંગણી કરી હતી કે આ દંપતીએ લોકોની જાહેરમાં માફી પણ માંગવી જોઈએ.