Valsad : ધરમપુરના પહેલા મોન્સૂન ફેસ્ટિવલનું સુંદર આયોજન, પ્રવાસીઓનો સારો પ્રતિસાદ
વલસાડ જિલ્લા પ્રભારી અને આદિજાતિ મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે વિલ્સન હિલનો પ્રવાસન (Tourist ) સ્થળ તરીકે હમણાં થોડા સમયથી જ કે વિકસાવવાની શરૂઆત થઈ છે અને સારી વાત એ છે કે એના વિકાસ માટે તેના માટે એકપણ વ્યક્તિનું વિસ્થાપન કરવું પડ્યું નથી.
વલસાડ (Valsad )ના ધરમપુર(Dharampur ) તાલુકાના વિલ્સન હિલમાં (Wilson Hill )જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સૌપ્રથમવાર આયોજિત મોનસૂન ફેસ્ટિવલ 2022નું નાણાંમંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મોન્સુન ફેસ્ટિવલમાં તા.13મી ઓગસ્ટથી તા.16 મી ઓગસ્ટ સુધી સતત ચાર દિવસ સુધી ચાલનાર છે. જેમાં આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, મેળો અને જંગલ ટ્રેકિંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ફેસ્ટિવલને ખુલ્લો મુક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો એ અમારું ધ્યેય છે.
વલસાડ જિલ્લાનાં પ્રવાસન સ્થળો ખૂબ જ સુંદર છે એ સ્થળોને પ્રખ્યાત કરવા માટે વહીવટી તંત્ર સાથે મળી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધરમપુર તાલુકામાં સૌ પ્રથમ મોન્સૂન ફેસ્ટિવલનું સુંદર આયોજન વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના પ્રયાસોથી જ શક્ય બન્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો શક્ય ન હોય જેથી અહીં પર્યટન સ્થળોને વિકસાવવાની ઘણી જરૂર છે, જેથી અહીં રહેતા આદિવાસીઓને રોજગારી મળી શકે છે. અને આ વિસ્તારની સાથે સાથે લોકોનો પણ સર્વાંગી વિકાસ કરી શકાય તેમ છે.
વધુમાં મંત્રીએ સાપુતારા અને વિલ્સન હિલના વખાણ કરતા કહ્યું હતું કે, દેશ વિદેશના હિલ સ્ટેશનોની મુલાકાત લઇ લો, પણ સાપુતારા અને વિલ્સન હિલની જ યાદ આવે. આ વિલ્સન હિલ ખાતેની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે. અહીંના સ્થાનિકોએ ઘરના આતિથ્યને પ્રાધન્ય આપી રોજગારીની તકો ઊભી કરવી જોઈએ અને તે માટે અહીંનું વહીવટીતંત્ર પણ કટિબદ્ધ છે.
વિલ્સન હિલ પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ પ્રગતિ કરી વિખ્યાત થાય એવી શુભેચ્છા સાથે વલસાડ જિલ્લા પ્રભારી અને આદિજાતિ મંત્રી નરેશ પટેલે ઉમેર્યું હતું કે, સાપુતારાનો વિકાસ છેલ્લા 60 વર્ષોથી થઈ રહ્યો છે, પ્રવાસન સ્થળ તરીકે તેને વિકાસ માટે ઘણો સમય મળ્યો હતો અને તેના માટે ત્યાંના લોકોનું વિસ્થાપન પણ કરાયું હતું. જ્યારે વિલ્સન હિલનો પ્રવાસન સ્થળ તરીકે હમણાં થોડા સમયથી જ કે વિકસાવવાની શરૂઆત થઈ છે અને સારી વાત એ છે કે એના વિકાસ માટે તેના માટે એકપણ વ્યક્તિનું વિસ્થાપન કરવું પડ્યું નથી.