પતિ પત્નીના(Couples ) ઝઘડામાં કેટલીક વાર બાળકોએ ભોગ બનવું પડતું હોય છે. તેવામાં સરકાર(Government ) દ્વારા અભયમ હેલ્પલાઇન(Helpline ) શરૂ કરીને આવા પરિવારોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડના પારડી તાલુકામાં આવો જ એક પરિવાર વિખેરાતા બચ્યો હતો. જેમાં પતિ પત્ની વચ્ચે થયેલા નજીવા ઝઘડા બાદ પતિએ માતા પાસેથી 3 મહિનાના બાળકને લઇ લીધું હતું. જોકે પરિણીતાએ 181 હેલ્પલાઇનની મદદ માંગી હતી. અને 181ની ટીમ દ્વારા બંને પક્ષકારોને સમજાવીને બાળકનો કબ્જો માતાને પરત અપાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી તાલુકા પાસે એક વર્ષ પહેલા જ એક દંપતિના લગ્ન થયા હતા. જે દરમ્યાન ત્રણ મહિના પહેલા જ તેમને એક બાળકનો જન્મ પણ થયો હતો. જોકે પતિ દ્વારા પત્ની પર વ્યસની હોવાના કારણે ખોટી શંકા કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરિણીતા પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે પત્નીએ પિયર પક્ષને જાણ કરતા બંને પરિવાર દ્વારા સમાધાનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પણ મામલો થાળે પડ્યો ન હતો.
તેવામાં પતિએ પત્નીને પિયર જતી રહેવાનું કહીને તેના ત્રણ મહિનાના દીકરાને છીનવીને ઘરની બહાર કાઢી મૂકી હતી. માત્ર 3 મહિનાના પુત્રના વિરહ સાથે ચિંતામાં મુકાયેલી પરિણીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અને માતા માત્ર તેના સંતાન પર આધારિત હોવાનું જણાવ્યું હતું. 181 ની ટીમ મહિલાને લઈને તેના સાસરી પક્ષે પહોંચી હતી અને આ ઘરેલું ઝઘડાને સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેઓએ બંને પક્ષકારને સમજાવીને સમાધાન કરીને બાળકનો કબ્જો માતાને પરત અપાવ્યો હતો. તેમજ પરિણીતાને ઘર સંસાર બાબતે થોડો સમય લેવા જણાવ્યું હતું. બાળકનો વિચાર કરીને બંને પક્ષ સમજી વિચારીને નિર્ણય લે તે બાબતે તેમને વિચાર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. આમ, માતા અને બાળકનું સુખદ મિલન 181 અભયમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તેમને પરિવારને વિખેરતા બચાવ્યો હતો. અભયમ ટીમે પતિને પણ આ બાબતે પૂરતી સમજ આપીને પત્ની અને સંતાન બંનેને અપનાવવા સલાહ આપી હતી.