Valsad : દક્ષિણ ગુજરાતનાં નવ શિક્ષકોને મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવશે
આ કાર્યક્રમમાં ગુજરાત(Gujarat ) રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે શિક્ષણ ક્ષેત્રે અદ્રિતીય કામગીરી કરનાર શિક્ષકોને મોરારીબાપુના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
જાણીતાં કથાકાર મોરારિબાપુ(Morari Bapu ) રચિત ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગુજરાતમાં (Gujarat ) શિક્ષણ ક્ષેત્રે સુંદર અને બેનમુન કામગીરી બજાવનાર શિક્ષકોને (Teachers ) ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવે છે. ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા ન હતા. વર્ષ 2020 અને 2021 માટે રાજ્યના કુલ 66 શિક્ષકોની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં કુલ 9 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતનાં પાંચ શિક્ષકોને વર્ષ 2020નો ચિત્રકૂટ પારિતોષિક એનાયત થશે. જેમાં તાપી નિઝર નેવાળા ગામમાં મુખ્ય શિક્ષક સિદ્ધાર્થ રાજેન્દ્ર સાળવે, ડાંગ આહવાના ટાન્કલીપાડા વર્ગશાળાના મુખ્ય શિક્ષક સુભાષ દામુભાઈ ભોયે, માંગરોળ તાલુકાના વાંકલ ગામના ઉપશિક્ષક બચુભાઇ ચૌધરી, વલસાડ-વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક કેન્દ્ર શાળાના શિક્ષક મીના સુખદેવભાઈ આહિરે અને વાગડ પ્રાથમિક શાળા ગણદેવી-નવસારીના ઉપશિક્ષિકા કીર્તિ ઓજસ પટેલનો સમાવેશ થાય છે.
જ્યારે વર્ષ 2021ના પુરસ્કાર માટે દક્ષિણ ગુજરાતમાંથી ડાંગના સુબિરની બિલી આંબા પ્રા. શાળાના ઉપશિક્ષક રસિક પટેલ, બરડોલીની મોતા પ્રા. શાળાના મુખ્ય શિક્ષિકા મીનલદે સુમનસિંહ દેસાઈ, ચીખલીની ચીતાલી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ચંદુભાઈ દુર્લભભાઈ આહીર અને પારડી તાલુકાની ખડકી પ્રા.શાળાના ઉપશિક્ષક ઈલા વસંતલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોરારી બાપુના માદરે આ વતન તલગાજરડા ગામ ખાતે 11 મે, બુધવારના રોજ સવારે 8.30 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતનાં આ 9 શિક્ષકોનું મોરારિબાપુના હસ્તે શાલ, પારિતોષિક અને 25,000 રૂપિયાનો પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી કુલ 62 શિક્ષકોનું મોરારિબાપુના હસ્તે સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે શિક્ષણ ક્ષેત્રે અદ્રિતીય કામગીરી કરનાર શિક્ષકોને મોરારીબાપુના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વખતે કુલ 66 શિક્ષકોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવવામાં આવનાર છે.