VADODARA : કોરોનામાં સયાજી હોસ્પિટલનું ICU સહિતનું ટ્રાયેજ જીવનરક્ષક બન્યું, 1750 લોકોને જીવન રક્ષક સારવારથી નવજીવન મળ્યું
VADODARA : ટ્રાયેજમાં ઉપલબ્ધ ઓકસીજનની અને વેન્ટિલેટરની સુવિધાથી વોર્ડમાં ભારણ ઘટયું. લોબીમાં 8 જેટલા ઓકસીજન પોઇન્ટ મૂકી ઓકસીજનની જરૂરવાળા દર્દીઓને આવતાની સાથે જ સારવાર આપી શકાઈ.
VADODARA : ટ્રાયેજમાં ઉપલબ્ધ ઓકસીજનની અને વેન્ટિલેટરની સુવિધાથી વોર્ડમાં ભારણ ઘટયું. લોબીમાં 8 જેટલા ઓકસીજન પોઇન્ટ મૂકી ઓકસીજનની જરૂરવાળા દર્દીઓને આવતાની સાથે જ સારવાર આપી શકાઈ.
ટ્રાયેજ એટલે ક્વિક રિસ્પોન્સ સેન્ટર અથવા તાત્કાલિક સારવારની વ્યવસ્થા. સયાજી હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેર જ્યારે આથમી રહી હતી. ત્યારે ઓકટોબરમાં કોવિડ ટ્રાયેજની સુવિધા શરૂ કરવામાં આવી. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવની આ દૂરંદેશી કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ નિર્ણાયક બની.
એક અંદાજ પ્રમાણે આ સુવિધાને લીધે ઓકસીજન અને વેન્ટિલેટર સહિતની જે તાત્કાલિક સારવાર દર્દીઓના આગમનની સાથે જ ટ્રાયેજમાં મળી. તેના પરિણામે અંદાજે 1650 થી 1750 દર્દીઓના જીવનની સુરક્ષા શક્ય બની.
સયાજી હોસ્પીટલના નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે આ વ્યવસ્થાથી કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે આવતા દર્દીઓને પ્રથમ તો જરૂરી તાત્કાલિક સારવાર આપી શકાય છે. અને જરૂરી ટેસ્ટના આધારે જો દર્દી કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના વિભાગમાં અને જો નેગેટિવ હોય તો અન્ય સંબંધિત વિભાગમાં સારવાર માટે મોકલી શકાય છે.આ વ્યવસ્થાને લીધે નેગેટિવ દર્દીને બિન જરૂરી રીતે કોવિડ વોર્ડના સંક્રમણના વાતાવરણમાં જતા અટકાવી શકાય છે.
ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ ઓકટોબર 20માં કોરોના પીડિતોને તાત્કાલિક સારવાર મળી શકે એવું ટ્રાયેજ સયાજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું. તેની યાદ અપાવતા ડો. બેલીમે જણાવ્યું કે તે સમયે 5 વેન્ટિલેટર, 5 મોનીટર, 2 ઓકસીજન કોન્સન્ટ્રેટર, 2 ડી ફિબ્રીલેટર અને ઓકસીજન ટાંકી સાથે સંલગ્ન નિરંતર ઓકસીજન પુરવઠાની સુવિધા સાથે તેનો પ્રારંભ થયો હતો. આ સુવિધા શરૂઆતથી જ અદ્યતન અને જરૂરી સુવિધા સંપન્ન હતી. અને, પ્રથમ લહેરમાં અંદાજે 300થી વધુ દર્દીઓને પ્રાથમિક તાત્કાલિક સારવાર અપાઇ હતી.
આ ટ્રાયેજ ખાતે ઉપરોક્ત જીવન રક્ષક સુવિધાઓની સાથે 24 કલાક નિષ્ણાત તબીબો,નિવાસી તબીબો,તબીબી અધિકારીઓ,નર્સિંગ સ્ટાફ,નર્સિંગ સહાયકો,સેવકો,સફાઈ સેવકો,સિક્યુરિટી જેવી તમામ વ્યવસ્થાઓની કાળજી લેવામાં આવી હતી.
આ વ્યાપક વ્યવસ્થાઓને લીધે અન્ય સ્થળોએ જ્યારે દર્દીઓનું આગમન અટકાવવા દરવાજા બંધ કરવા પડ્યા. ત્યારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અગમચેતીના લીધે આવી પરિસ્થિતિ ટાળી શકાઈ. બીજા વેવમાં 1884 જેટલા દર્દીઓને આ સુવિધાનો લાભ મળ્યો અને હજુ મળી રહ્યો છે.
અહી કાર્યરત તબીબો અને સ્ટાફે દિવસો સુધી સતત ચોવીસે કલાક વારાફરતી કાર્યરત રહીને સલામીને પાત્ર સમર્પિત સેવાઓ આપી જે ભૂલી ન શકાય.