Vadodara: શિક્ષાપત્રીનું અનુસરણ કરીને લાખો યુવાનોને દેશની પ્રગતિમાં યોગદાન આપવા રાષ્ટ્રપતિનો અનુરોધ
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને યુવાપેઢીમાં ઉજાગર કરવા માટે આ પ્રકારની યુવા શિબિરોનું આયોજન જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હું ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) વીડિયો કોન્સ્ફરમ્સ માધ્યમથી વડોદરા (Vadodara) માં ચાલી રહેલી યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં ઉપસ્થિત લોકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં જ્ઞાનજીવનદાસજી સ્વામીની નિશ્રામાં ચાલી રહેલ યુવા સંસ્કાર અભ્યુદય શિબિર તથા સત્સંગ જ્ઞાનયજ્ઞમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડિયો ક્લિપના માધ્યમથી જોડાયા હતા.
તેઓએ સંદેશમાં જણાવ્યું હતું કે “સમાજના ઉત્થાન અને રાજકીય પ્રગતિમાં યુવાનોની મહત્વની ભૂમિકા હોય છે. યુવાનોને શિક્ષિત કરવા અને માર્ગદર્શન આપવા માટેની ખુબ જરૂર છે ત્યારે ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને યુવાપેઢીમાં ઉજાગર કરવા માટે આ પ્રકારની યુવા શિબિરોનું આયોજન જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હું ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.”
બાળકો અને યુવાનોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા માટે જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આ પ્રમાણે વિવિધ શિબિરોમાં નિયમિત આયોજન કરવામાં આવે છે. મને એ જાણીને આનંદ થાય છે કે વિતેલા 40 વર્ષથી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ દેશ વિદેશમાં વિચરણ કરીને સંસ્કારી અને ચારિત્ર્યવાન સમુદાય તૈયાર કર્યો છે .
કુદરતી આપત્તિઓના સમયે કુંડળધામ દ્વારા બેસહારા લોકોને સહાયતા અને ગરીબોને ભોજન, દવા જેવા કાર્યો કરવામાં આવે છે. કોવિડની મહામારીના સમયે મંદિરને હોસ્પિટલમાં પરિવર્તિત કરી સ્વામીજીએ સમાજમાં એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા મુખ્ય ત્રણ સંકલ્પ લીધા હતા જેમાં અનેક મંદિરોની સ્થાપના કરવી, આચાર્ય પદની પ્રતિષ્ઠા કરવી અને પવિત્ર ગ્રંથની રચના કરવી. મને એ વાતનો આનંદ છે કે કુંડળધામમાં ભગવાન સ્વામિનારાયણના ત્રણેય સંકલ્પોનું અનુકરણ થાય છે.
એક ભારત, આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત આ અંગે પણ કુંડળધામ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગ્રંથોની જાળવણી અને ગ્રંથો દ્વારા ધાર્મિક પ્રચાર અર્થે ગ્રંથોની જાળવણીમાં પણ કુંડળધામ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. 10,000 વર્ષ સુધી નષ્ટ ન થઇ શકે તેવા ટાઇટેનિયમ ધાતુમાં શ્રીહરિચરિત્રસાગર વગેરે ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય સાધી પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી સમયને અનુરૂપ અનેક ફેરફારો કરી રહ્યા છે અને તેમાં યુવાનોને જોડવા માટે થ્રીડી એનિમેશનનો ઉપયોગ કરીને વિડિયો ચેષ્ટા તૈયાર કરી છે જે યુવાનોમાં લોકપ્રિય બની છે અને ભવિષ્યની દ્રષ્ટિએ આ એક ઉત્તમ ઉદાહરણ છે.
પર્યાવરણની રક્ષા, પ્રકૃતિ પ્રત્યે આત્મીયભાવ રાખવો અને તમામની રક્ષા કરી માનવજાતને રક્ષા થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી દ્વારા શિક્ષાપત્રીના નિયમોનું અનુસરણ કરીને આદર્શરૂપ બની લાખો યુવાનોને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.