Vadodara: હરિધામ સોખડામાં વધુ એક મોત, પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું
મહિલા સાથે રહેલાં રાજકોટના કાજલબેન રાજેન્દ્રભાઈ જડિયા અને હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને આ અંગેની જાણ કરતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી વારંવાર વિવાદમાં રહેતા હરિધામ સોખડામાં એક મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતાં મોત થયું છે. રાજકોનો સેવક પરિવાર ચાર-પાંચ દિવસ પહેલાં આત્મીય કોલોનીમાં આવીને રોકાયો હતો. દરમિયાન ગત રાત્રે આ બનાવ બનતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
હરિધામ સોખડામાં આત્મીય કોલોની ખાતે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો રાજકોટનો પરિવાર ચાર-પાંચ દિવસ પહેલાં રોકાવા આવ્યો હતો. દરરોજ સત્સંગમાં ભાગ લેતા આ પરિવાના 82 વર્ષીય મૃદુલાબેન જયેશ ભાઈ શાહ સાંજે લોખંડના પલંગ પર ઊંઘી ગયા બાદ રાત્રે 10 વાગ્યાના સુમારે ઉંઘમાં જ પલંગ પરથી નીચે પડી ગયાં હતાં. તેમને માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજા થતાં મોત થયું હતું. આથી મહિલા સાથે રહેલાં રાજકોટના કાજલબેન રાજેન્દ્રભાઈ જડિયા અને હરિધામ સોખડાના સ્ટાફે પોલીસને આ અંગેની જાણ કરતાં તાલ્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી અને મૃતકની સાથે આવેલા લોકોની પુછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે તો પલંગ પરથી પડવાના કારણે માથા અને મોઢાના ભાગે ઇજા થવાથી મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે પણ હરિધામ સોખડામાં અત્યારે વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મૃતદેહનું સાયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા રવાના કરાયો છે.
દરમિયાન મૃતક મહિલા મૃદુલાબેનની દીકરી અને જમાઈ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં છે. પોસ્ટમોર્ટમ બાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે. જોકે આ સાથે પોલીસે મૃદુલાબેનના પરિવારજનોની પુછપરછ કરીને તેમને કોઈ બીમારી હતી કે કેમ તે અંગેની પણ જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી છે.