Vadodara: ઉતરાયણમાં ઇજાગ્રસ્ત થયેલા કબૂતરોને સારવાર બાદ વન વિભાગે કર્યાં મુક્ત, સાજા થયેલા કબૂતર ફરીથી ગગનમાં કરશે વિહાર
કરુણા અભિયાનમાં આ વર્ષે લગભગ 700 સ્વયંસેવકો જોડાયા હતા. તેમના પ્રયાસોથી આ સારવાર શક્ય બની છે. ઘાયલ થયેલા 1162 પક્ષીઓમાંથી 201 હજુ સારવાર હેઠળ છે અને બાકીનાને તેમના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા છે.
વડોદરાના વનવિભાગ દ્વારા ઉતરાયણમાં ઇજાગ્રસ્ત થયેલા કબૂતરોની સારવાર કર્યાં બાદ સાજા થયેલા કબૂતરોને ગગનમાં મુક્ત વિહાર કરવા માટે ઉડાડી દેવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા કબૂતરોને વનવિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગ અને કાળજીથી સાજા કરવામાં આવ્યા હતા અને થોડા દિવસ તેને અવલોકનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ વન વિભાગના અધિકારીઓએ આ પક્ષીઓને મુકત કરી દીધા હતા.
આ સાથે જ માંજલપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકો વનવિભાગની મુલાકાતે આવ્યા હતા ત્યારે બાળકોને વનવિભાગના અધિકારીઓ દ્વારા વન વિભાગની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી.આર. એફ. ઓ. કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોએ પોતાની ફરજ માનીને અને માનવતા ખાતર ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની જાણકારી તરત જ અમારા ટોલ ફ્રી નંબર પર કરવી જોઈએ, જેથી કરીને અમારી રેસ્ક્યુ ટીમ જે તે સ્થળે પહોંચી શકે.અમારી રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત છે.
મુલાકાતે આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સારવાર બાદ મુક્ત કરાયેલ સામાજિક વનીકરણ વિભાગે ઉત્તરાયણ દરમ્યાન પક્ષીઓને બચાવવા માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા અનોખી પહેલ કરી. આ દરેક વિદ્યાર્થીઓ માટે જીવનભરનો આ બેસ્ટ અનુભવ હતો એમ તેમનું કહેવું હતું.કારણ કે તેઓએ આ વર્ષના ઉત્તરાયણ તહેવાર દરમિયાન ઘાયલ કબૂતરોને આજે પોતાના હાથે જ છોડ્યા હતા.
વિદ્યાર્થીઓએ પક્ષીઓની સુરક્ષાનો લીધો નિર્ણય
બાલ ભવન પાસે સામાજિક વનીકરણ હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવારથી લગભગ 20 જેટલાં કબૂતરોને સંપૂર્ણ સાજા થયા બાદ છોડવામાં આવ્યા હતા. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે સક્રિય પગલાં લેવા વિદ્યાર્થીઓ સાથે જાગૃત થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
પતંગની ઘાતક દોરીને કારણે કબૂતરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સરકારી કરૂણા અભિયાન હેઠળ સારવાર માટે વન વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકો દ્વારા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ દરેક પક્ષીઓ સંપૂર્ણપણે સાજા થયા બાદ તેમના કુદરતી રહેઠાણમાં જવા અર્થે તેમને છોડવામાં આવ્યા હતા. આ અંગેની વિસ્તૃત વિગતો આપતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં 1162 પક્ષીઓ ખરાબ રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીઓની યાદીમાં 90 ટકા પક્ષીઓ કબૂતરો છે. તબીબોની ટીમે ફોરેસ્ટ વિભાગની અંદરની હોસ્પિટલમાં સારવાર કરી હતી.
કરુણા અભિયાનમાં આ વર્ષે લગભગ 700 સ્વયંસેવકો જોડાયા હતા. તેમના પ્રયાસોથી આ સારવાર શક્ય બની છે. ઘાયલ થયેલા 1162 પક્ષીઓમાંથી 201 હજુ સારવાર હેઠળ છે અને બાકીનાને તેમના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા છે. હાજર રહેલ દરેક વિદ્યાર્થીઓએ પ્રાણીઓને બચાવવા, વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.