વડોદરા જિલ્લામાં 15 અને 16 સપ્ટેમ્બરે શાળાઓ-કોલેજોમાં યોજાશે રમતગમતની સ્પર્ધાઓ
વડોદરા (Vadodara) જિલ્લામાં આગામી 13 સપ્ટેમ્બરે સાંજે કોલેજ કક્ષાએ રમતગમત સ્પર્ધાઓ યોજાશે. જેમાં વાઘોડિયા ખાતે પારૂલ યુનિવર્સિટીમાં, સાવલીમાં કે. જે. કોલેજમાં અને કરજણ ખાતે હોમિયોપેથિક કોલેજમાં વિવિધ રમતો યોજાશે.
નેશનલ ગેમ્સના (National Games) પ્રારંભ પૂર્વે સમગ્ર રાજ્યમાં સ્થાનિક કક્ષાએ રમતોત્સવનું (sports festival) આયોજન કરવામાં આવ્યું છે. તે અનુસંધાને વડોદરા (Vadodara) જિલ્લામાં આગામી 13 સપ્ટેમ્બરે સાંજે કોલેજ કક્ષાએ રમતગમત સ્પર્ધાઓ યોજાશે. જેમાં વાઘોડિયા ખાતે પારૂલ યુનિવર્સિટીમાં, સાવલીમાં કે. જે. કોલેજમાં અને કરજણ ખાતે હોમિયોપેથિક કોલેજમાં વિવિધ રમતો યોજાશે. જેમાં સ્થાનિક કોલેજ પાસે ઉપલબ્ધ રમતો યોજવામાં આવશે.
ટીમ સ્પીરી સાથે રમતો યોજવાનું આયોજન
વડોદરા જિલ્લામાં નાગરિકોમાં ખેલદિલીની ભાવના જાગૃત થાય એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ રમતો આયોજિત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ વિવિધ રમતો યોજાશે. તેમાં બાળકો સાથે શિક્ષકો અને ગ્રામજનોને પણ સામેલ કરવામાં આવશે. એટલે કે, શિક્ષકો-ગ્રામજનો વચ્ચે ટીમ સ્પીરીટ સાથે રમત યોજાઇ એવું આયોજન થયું છે.
રમત દ્વારા એકતાની ઉજવણી
કલેક્ટર અતુલ ગોર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ગુજરાતમાં પણ રમતગમત પ્રત્યે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ વધે એ માટે ખેલ મહાકુંભ ચાલક પરિબળ બની રહ્યો છે. તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. હવે, રમત દ્વારા એકતાની ઉજવણીના કાર્યમંત્ર સાથે નેશનલ ગેમ્સનું આયોજન કરવું, એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.
નાગરિકોમાં રમતો પ્રત્યેની જાગૃતિ લાવવાનો હેતુ
તેમણે જણાવ્યુ હતુ કે, નેશનલ ગેમ્સ પ્રત્યે લોકોમાં ઉત્સાહ જાગૃત થાય એ માટે ગ્રામ્ય કક્ષાએ લોકોને રમતગમતની આ સ્પર્ધાઓમાં જોડવામાં આવશે. બાળકોના વાલીઓને જોડવાથી તેમને પોતાના બાળકમાં રહેલા કૌશલ્યનો ખ્યાલ આવી શકે અને ગેમ્સને પણ કારકીર્દિનો ભાગ બનાવી શકાય છે, એ બાબતની જાગૃતિ લાવવાનો ઉદ્દાત ભાવ આ સ્પર્ધામાં રહેલો છે. જેમાં શિક્ષકો અને છાત્રો વચ્ચે, છાત્રો અને વાલીઓ વચ્ચે તથા વાલીઓ અને શિક્ષકો વચ્ચે સ્પર્ધાઓનું આયોજન આગામી 15થી 16 સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં સ્વામિ વિવેકાનંદ મંડળ સાથે જોડાયેલા યુવાનો પણ સક્રીયતાથી ભાગ લેશે.
તેમણે ઉમેર્યું કે, આ રમતો માત્ર શાળાઓ પૂરતી સીમિત ના રાખતા તેમાં વિવિધ સરકારી કચેરીઓના કર્મયોગીઓને પણ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને પંચાયત, મામલતદાર અને પોલીસ કચેરીના કર્મયોગીઓ પણ સહભાગી બને એવી સૂચના જારી કરવામાં આવી છે. વરસાદી માહોલને ધ્યાને રાખીને એવું પણ કહેવામાં આવ્યું છે, જે દિવસે રમત યોજી ના શકાય એ હોય તો તેના બીજા દિવસે પણ રમત યોજવા માટે અનુકૂળતા કરી આપવામાં આવી છે. તેની સાથે શારીરિક સ્વસ્થતા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.