વડાપ્રધાન મોદીએ 21 હજાર કરોડના વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ, વડાપ્રધાને કહ્યુ ‘માતાની જેમ સંસ્કાર આપતુ નગર છે વડોદરા’
વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) વડોદરા મહાનગરપાલિકા (VMC) આયોજિત રૂપિયા 243 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને રૂપિયા 15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યુ.
મિશન ગુજરાત પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કર્યા બાદ વડોદરામાં (Vadodara) પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. વડાપ્રધાને વડોદરામાં લેપ્રસી ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં 21 હજાર કરોડથી વધુની કિંમતના પાણી પુરવઠા, જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ પ્રોજેક્ટોનુ (Development projects) લોકાર્પણ કર્યુ. સાથે જ વડાપ્રધાનના હસ્તે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અને પોષણ સુધા યોજનાનું લોન્ચિંગ થયુ. વડાપ્રધાન માતૃશક્તિની વાત કરતા કરતા ભાવુક પણ થયા હતા.
વડાપ્રધાન મોદીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂપિયા 243 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને રૂપિયા 15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યુ. સાથે જ કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન મોદીએ રેલવેના 16,369 કરોડ રૂપિયાના 18 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ. તો સાથે જ લેપ્રસી મેદાનમાં વડાપ્રધાને જંગી સભાને સંબોધિત કરી. આ સભામાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. આ સભામાં વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓના લોકો હાજર રહ્યા હતા.
પ્રોજેક્ટના કારણે રોજગારીની તકો સર્જાશે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સંબોધનમાં જણાવ્યુ કે, આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે. તેમણે કહ્યુ કે આજે વિરાટ માતૃ શક્તિના દર્શન થયા છે. વડાપ્રધાને લોકાર્પણ કરેલા 21 હજાર કરોડના વિકાસકાર્યોને લઇને કહ્યુ કે આ પ્રોજેક્ટના કારણે રોજગારીની તકો સર્જાશે. તેમણે કહ્યુ માતા-બહેનોએ અમને આશીર્વાદ આપ્યા છે. ત્યારે પ્રોજેક્ટમાં મોટાભાગના કામો બહેનોના સશક્તિકરણ સાથે જોડાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા
વડોદરાની માતાઓની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા. વડાપ્રધાને કહ્યુ કે 21મી સદીમાં મહિલાઓનો ઝડપી વિકાસ, મહિલાઓનું સશક્તિકરણ ખૂબ જ જરુરી છે. ભારત મહિલાઓની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહ્યુ છે.
વડોદરા માતાની જેમ સંસ્કાર આપતુ નગર: PM
વડાપ્રધાને કહ્યુ કે, વડોદરા માતાની જેમ સંસ્કાર આપતુ નગર છે, મહાપુરુષો પણ આ સંસ્કારની નગરીથી પ્રેરિત થયુ છે. વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે ઉપયુક્ત નગર છે. મારી આખી વિકાસયાત્રામાં હું વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભુલી શકુ.
ગુજરાત સરકારે આજે 2 મોટી યોજના શરુ કરી
વડાપ્રધાન મોદીએ વડોદરામાં મંચ પરથી કહ્યુ કે, ગુજરાતની બહેન-દીકરીઓ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આજે 2 મોટી યોજના શરુ કરી છે. સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે આ બે મોટી યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માતાના પોષણક્ષમ આહારની સંભાળ રાખશે.
વડાપ્રધાને કહ્યુ કે, ગુજરાતે મને સેવાનો અવસર આપ્યો ત્યારે કુપોષણ અહીં મોટો પડકાર હતો. ત્યારથી અને એક પછી એક આ દિશામાં કામ શરુ કર્યુ, જેના પરિણામ જોવા મળી રહ્યા છે. આજે દૂરના ગામોમાં રહેનારી મહિલાઓ માટે પણ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરુઆત થઇ છે. તેનાથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરનારી બહેનોને વિશેષ લાભ થવાનો છે. આ યોજના અંતર્ગત 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે. જે પ્રોટીન માટે ખૂબ જરુરી વસ્તુઓ છે. ખૂબ સમજી વિચારીને આ પેકેજ બનાવાયુ હોવાનું વડાપ્રધાને જણાવ્યુ હતુ.
બહેનોને અપાતા પોષણનો અર્થ માત્ર ખાનપાન જ નહીં યોગ્ય વાતાવરણ પણ છે. બહેનોને અપાતી નાની મોટી સુવિધાઓ પણ છે. સ્વચ્છ ભારત અભિયાન, ઘરે ઘરે શૌચાલય એ પણ માતા બહેનોના સ્વાસ્થ્યમાં સુધાર કરનારા સાધનો છે. ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ કનેક્શન પણ તેમાંથી એક છે. ઘરમાં ધુમાડાથી માતા,બહેનોના ફેફસામાં સેંકડો સિગારેટ જેટલો ધુમાડો જતો હતો. એને બચાવવાનું અમે કામ કર્યુ છે. ગુજરાતમાં 36 લાખથી વધુ પરિવારોમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.