Vadodara : M S યુનિવર્સિટીના બોટની વિભાગને “અમૃતા ફોર લાઈફ”ના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ગિલોયના રોપા ઉછેરવાનો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ હેઠળ ગિલોયના બે લાખ રોપા તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં 1.40 લાખ રોપા છેલ્લા છ મહિના દરમિયાન તૈયાર કરી દેવામાં આવ્યા છે.
Vadodara: નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ (National Medicinal Plants Board – NMPB) દ્વારા ચલાવવામાં આવી રહેલા “અમૃતા ફોર લાઈફ” (Amrita for Life)ના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (M S University, Vadodara)ની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં ગિલોય (inospora Cordifolia -Giloy)ના રોપા ઉછેરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ગિલોયના બે લાખ રોપા તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં 1.40 લાખ રોપા છેલ્લા છ મહિના દરમિયાન તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ તૈયાર થયેલ રોપાઓનું યુનિવર્સિટી હેડ ઓફિસના પંડ્યા બ્રીજ પાસે અને પોલિટેકનિક સામે આવેલ ગેટ નંબર બે પાસેથી નિશુલ્ક વિતરણ દરરોજ 3થી 6ના સમય દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
દરેક પરિવાર દીઠ બે રોપા તથા સંસ્થા અને શાળા કોલેજોને 50 રોપા આપવામાં આવી રહ્યા છે. નિશુલ્ક રોપા મેળવવા નામ, મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી રોપા મેળવી શકાશે.
આ પ્રોજેક્ટ બોટની વિભાગના ડો.પી.એસ.નાગરના વડપણ હેઠળ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ કો- ઓર્ડિનેટર તરીકે રોશન પરમાર કાર્ય કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ગિલોય એટલે કે ગળોની વનસ્પતિ તથા તેના ઉપયોગ વિશે જન જાગૃતિ કેળવાય તે હેતુસર પણ આગામી સમયમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત બાળકો તથા યુવા વર્ગમાં જાગૃતિ કેળવવા માટે એનિમેશન મુવી તથા લોક નાટક પણ તૈયાર કરવામાં આવ્યા છે.
ગિલોયના રોપા તૈયાર કરવા માટે ગુજરાતના 12 જિલ્લામાંથી કટિંગસ તથા બિયારણ ભેગું કરી આ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. ગિલોય હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ઘણું જ ઉપયોગી પુરવાર થયું છે. તેમાંથી બનતી દવાઓની પણ ભારે માંગ રહે છે. ગીલોયનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમ માનવામાં આવે છે. આ ઉપરાંત ગીલોય તાવ દૂર કરવા, કમળાની બીમારીમાં, ડાયાબિટીસ એલર્જી, સાંધાના દુખાવામાં તથા પેટમાં કરમિયા દૂર કરવા માટે પણ ઉપયોગી છે.
એમ.એસ. યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડનની સ્થાપના 1920ના દાયકામાં કરવામાં આવી હતી. બોટની ગાર્ડન 2.5 એકરમાં ફેલાયેલો છે. ઘણી શાળાઓ, આયુર્વેદિક યુનિવર્સિટીઓ અને ફાર્મસી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ વનસ્પતિ શાસ્ત્ર અને માતૃ પ્રકૃતિને સમજવા માટે અવારનવાર આ ઉદ્યાનની મુલાકાત લે છે. નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા યુનિવર્સિટી સ્તર પર માન્યતા પ્રાપ્ત ઔષધીય ઉદ્યાન છે અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે.
આ ઉદ્યાન આવૃત બીજધારીની લગભગ 680 જેટલી, અનાવૃત બીજધારીની 11 અને ત્રિઅંગીની 23 જાતિઓનું ઘર છે. આ ઉદ્યાન વનસ્પતિઓના સંવર્ધનની સાથે સંરક્ષણનું પણ કાર્ય કરે છે. અહીંયા કેક્ટસ હાઉસ તથા સાયકસ અને પામ પ્લોટ આવેલા છે. અર્બોરેટમ મેડિસન પ્લાન્ટ ગાર્ડનની સ્થાપના 1962ની આસપાસ કરવામાં આવી હતી. અહીં વનસ્પતિની લગભગ 1200 જેટલી જાતિઓ વિવિધ પ્લાન્ટ છે, જેમાંથી 30 જાતિઓ સ્થાનિક છે.
આ ગાર્ડન 4.5 એકરમાં ફેલાયેલો છે, જેમાં કૃત્રિમ તળાવ, ગ્રીન હાઉસ ગ્લાસ હાઉસ આવેલું છે. આ ઉપરાંત 300થી વધુ ઔષધિય જાતની વનસ્પતિઓ છે. વર્ષ 2009માં નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના નાણાકીય સહયોગથી અહીં મેડીસીનલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ટરપ્રિટેશન રૂમ ,ઓપન ક્લાસ રૂમ પણ છે.
અહીં 41 જાતના કમળ, પોયણાં તથા મખાના જેવી અદભુત પ્રજાતિઓ ઉગાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત અસામાન્ય રીતે જોવા મળતી વનસ્પતિઓના સંગ્રહમા ગૂગળ, તોપગોડો, કેસુડો,અશોક, સીમડો, બતકવેલ, કંકાસની વગેરે સમાવિષ્ટ છે. દર વર્ષે અંદાજે પાંચ હજારથી વધુ મુલાકાતીઓ આ મેડીસીનલ પ્લાન્ટની મુલાકાત લે છે.