હવે ઘરડા લોકો વૃદ્ધાશ્રમ નહીં.. ક્લબમાં જશે, તાપી જિલ્લાના વ્યારામાં વડીલો માટે ખુશીઓ અને મિત્રતાનું એક અનોખું મંચ
તાપી જિલ્લાના વ્યારામાં સ્થિત સિનિયર સિટીઝન ક્લબ વડીલો માટે એક અનોખું આશ્રયસ્થાન છે. એટલે જ કહેવાય છે કે ઘરડા લોકો હવે વૃદ્ધાશ્રમ નહીં..ક્લબમાં જશે.

જિંદગીના અંતિમ પડાવમાં પહોંચેલા આપણા વડીલોને પરિવાર સાથે સાથે તેમના હમઉમ્ર મિત્રોની સંગતમાં હસતાં-રમતાં, સુખ-દુઃખની વાતો કરતાં જીવનની બાકી રહેલી પળો પસાર કરવાનો અવસર મળે, તે ખરેખર અનોખો અને આનંદદાયક અનુભવ છે.
આ જ સુંદર વિચાર સાથે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના લગભગ બે દાયકાં પહેલાં આ વિસ્તારના મોખરાના વ્યક્તિત્વ સ્વ. મહેન્દ્રભાઈ શાહ અને તેમના સાથી મિત્રોએ કરી હતી. આજે પણ ક્લબના સભ્યો તેમની આ પહેલ માટે હંમેશાં આભાર વ્યક્ત કરે છે.
“વ્યારા સબસે ન્યારા ઔર સબકો પ્યારા” કહેવતને સાચું પાડતું વ્યારા નગર સ્વચ્છતા, વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે જાણીતું છે. વર્ષ 2004માં સ્વ. મહેન્દ્રભાઈ શાહના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ વ્યારાના વડીલો માટે એક એવું સ્થળ બનાવવામાં આવ્યું, જ્યાં તેઓ દરરોજ એકત્ર થઈ શકે, પોતાના સમવયસ્ક મિત્રો સાથે સમય વિતાવી શકે અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે. ખાસ વાત એ છે કે આ ક્લબ કોઈ બંધ ઇમારત નહીં, પરંતુ કુદરતના આંચલમાં વસેલું છે, જેને વ્યારા નગરપાલિકાના સહકારથી વિકસાવવામાં આવ્યું છે.
Unique Initiative in Tapi: Senior Citizen Club Creates Space for Happiness and Bonding | Gujarat | TV9Gujarati#Tapi #Vyara #BreakingNews #SeniorCitizens #PositiveNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/ZL87cg1pSP
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2026
વ્યારા સ્થિત આ સિનિયર સિટીઝન ક્લબ ગુજરાતમાં અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે અહીં 1600થી વધુ સભ્યો જોડાયેલા છે. ક્લબમાં સભ્યો માટે ઇન્ડોર રમતોની વ્યવસ્થા ઉપરાંત તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સાથે સાથે ક્લબ દ્વારા નાના-મોટા ધાર્મિક પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવે છે. સભ્યો માટે નજીવા ખર્ચે ચા, કોફી અને નાસ્તાની વ્યવસ્થા દાતાઓ અને નગરપાલિકાના સહયોગથી રોજબરોજ કરવામાં આવે છે.
કુદરતી વાતાવરણમાં વસેલા આ ક્લબમાં આવતા વડીલો અહીં આવીને રોજિંદા જીવનનો થાક ભૂલી જાય છે અને એક નવી ઉર્જા અનુભવે છે. તેઓ અન્ય લોકોને પણ સંદેશ આપે છે કે જીવનના અંતિમ પડાવમાં પરિવાર સાથે સાથે મિત્રોની સંગતમાં આનંદથી અને ઉત્સાહપૂર્વક જીવન જીવવું જોઈએ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર
