Surat : તહેવારો ટાણે જ મીઠાઈના ભાવમાં 40 ટકા સુધીનો વધારો, નહિવત્ ખરીદીને પગલે વેપારીઓમાં ચિંતા
તહેવારો મીઠાઈ વગર અધૂરા છે. પરંતુ તહેવારો પહેલા જ દૂધ, સુકામેવા સહિતના ભાવમાં વધારો થતા તેની અસર હવે મીઠાઈના ભાવમાં પણ જોવા મળી રહી છે. મીઠાઈના ભાવમાં વધારો થતા તહેવારો નજીક હોવા છતાં ઓર્ડર નહીં મળતા મીઠાઈ વિક્રેતાઓની ચિંતા વધી છે.
શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ હવે વિવિધ ધાર્મિક તહેવારોની શરૂઆત થઇ ગઈ છે. અલુણા ગૌરી વ્રત બાદ હવે રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા તહેવારો ઉજવવામાં રોનક આવશે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ મીઠાઈ વિક્રેતાઓ માટે આ વાત ખોટી સાબિત થઇ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
તહેવારો હોય એટલે મોઢું મીઠું કર્યા વગર ચાલી શકે તેમ નથી. તેવામાં મીઠાઈ વિક્રેતાઓને પણ કોરોનાની બીજી લહેર ઓસરતાં સારા ધંધાની અપેક્ષા હતી. પરંતુ જયારે દૂધ, પેટ્રોલ,ડીઝલ, સૂકા મેવા સહિતની તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા મીઠાઈઓ પર આ ભાવવધારાની અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે દરેક મીઠાઈના ભાવમાં 40 થી 50 રૂપિયાનો સીધો વધારો નોંધાયો છે. જેની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે.
સુરતના મીઠાઈ વિક્રેતા રોહન મીઠાઇવાળાનું કહેવું છે કે આ વખતે રક્ષાબંધનને લઈને અમે ઘણી વેરાયટીવાળી મીઠાઈઓ બજારમાં લાવ્યા છે. લોકોના સ્વાદ પ્રમાણે અમારે દર વર્ષે મીઠાઈમાં નવીનતા લાવવી પડે છે. કોરોનાના કારણે બે વર્ષથી અમારો ધંધો સારો નહોતો ચાલ્યો પણ આ વર્ષે અમને થોડી આશા છે. જેથી અમે ચારકોલ મીઠાઈ, બબલગમ ફ્લેવર વાળી મીઠાઈ બજારમાં લાવ્યા છે. પણ મોંઘવારીની અસર મીઠાઈના ભાવ પર પણ પડી છે. સૂકા મેવા, રો મટીરીયલ, દૂધના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે અમારે મીઠાઈ બનાવવાનું કોસ્ટીંગ પણ વધી ગયું છે. અને નાછૂટકે અમારે મીઠાઈના ભાવમાં વધારો કરવો પડ્યો છે.
દૂધ અને સુકામેવા સિવાય મીઠાઈ શક્ય નથી. જેથી અમારે મીઠાઈના ભાવમાં પણ 40 થી 50 રૂપિયાનો સીધો વધારો કરવો પડ્યો છે. જેના કારણે આ વર્ષે ખરીદી પર પણ અસર પડી છે. કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ પહેલાથી નબળી થઇ છે. તેવામાં મીઠાઈ ખરીદીમાં જેવી ઘરાકી જોઈએ એવી ઘરાકી હજી જામી નથી. રક્ષાબંધનમાં આ સમયે ખરીદી શરૂ થઇ જતી હોય છે. અમારી પાસે એડવાન્સમાં પણ ઓર્ડર આવતા હોય છે પણ ચાલુ વર્ષે હજી કોઈ ખરીદી શરૂ થઇ નથી. આવનારા સમયમાં જોવાનું રહેશે કે ઘરાકી કેવી રહે છે.
આ પણ વાંચો :