Surat : સુરતની રબર ગર્લ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવી પરત ફરી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
આ પ્રસંગે પોલીસ બેન્ડ દ્વારા જે ધૂનો વગાડવામાં આવી હતી એ જોઇને એરપોર્ટ પર જાણે કોઇ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હોય તેવું લોકોને લાગ્યું હતું .
તાજેતરમાં જ દિવ્યાંગ દિવસે ભારતના રાષ્ટ્રપતિના(President ) હસ્તે મેડલ મેળવ્યા બાદ દિલ્હીથી સુરત એરપોર્ટ પર ઉતરેલી સુરતની દિવ્યાંગ દિકરી અન્વી ઝાંઝરુકીયાનું(Anvi Zanzrukiya ) સુરત એરપોર્ટ(Surat Airport ) પર પોલીસ બેન્ડની ધૂન સાથે જે શાનદાર સ્વાગત થયું તે જોઇને એરપોર્ટ પર ઉપસ્થિત અનેક પેસેન્જરોનું દિલ પણ ગદગદ થઇ ગયું હતું .
સુરતના મેયરે દિવ્યાંગ હોવા છતાં સૌથી નાની ઉંમરે યોગમાં વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરીને છેક રાષ્ટ્રપતિ મેડલ સુધી પહોંચેલી અન્વી ઝાંઝરુકીયાને સુરત એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કર્યું હતું . આ પ્રસંગે પોલીસ બેન્ડ દ્વારા જે ધૂનો વગાડવામાં આવી હતી એ જોઇને એરપોર્ટ પર જાણે કોઇ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હોય તેવું લોકોને લાગ્યું હતું .
સુરતની દિવ્યાંગ રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાને ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમા સમગ્ર દેશમાં બે નેશનલ એવોર્ડ જાહેર થયા છે જેમાં ગુજરાતમાંથી એક જ નામ જે સુરત શહેરની રબ્બર ગર્લ અને નરથાણની સંસ્કારકુંજ જ્ઞાનપઠી શાળા પરિવારની સાતમા ધોરણની વિદ્યાર્થિની અન્વીબેન ઝાંઝરુકીયા રાષ્ટ્રપતિ શ્રી કોવીંદના હસ્તે નેશનલ એવોર્ડ હાંસલ કરીને સુરત પરત ફર્યા હતા .
આ પ્રસંગે અન્વીના શાળા પરિવાર તથા પરીવારજનો અને મિત્રો દ્વારા અન્વી ઝાંઝરૂકિયાના સ્વાગત માટે સુરત એરપોર્ટ પર વહેલી સવારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી . પોલીસ બેન્ડ ઉપસ્થિત રાખવાની વ્યવસ્થા ઉપરાંત દરેકે દરેક વ્યક્તિ હાથમાં હાર કે ફ્લાવર બુકે સાથે પહોંચી હતી અને જેવી અન્વી એરપોર્ટની બહાર આવી કે તરત જ તેને વધાવી લવામાં આવી હતી . મેયર હેમાલીબેને સુરત શહેર વતી અન્વીને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્વી છેલ્લા ત્રણ વર્ષથી કોચ નમ્રતા વર્મી પાસે તેની શાળામાં જ યોગ શીખે છે, તેને જન્મજાત અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ છે, જેનો વિશ્વમાં કોઈ ઈલાજ નથી. પણ અન્વીએ પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને અવગણીને અન્વીએ નેશનલ લેવલ પર યોગા માટે સિદ્ધિ હાંસિલ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી છે. અન્વીએ અનેક જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને તેમાં વિજેતા થઇ છે. આ દરેક યોગ સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી હોતી નથી. અન્વી દિવ્યાંગ હોવા છતાં સામાન્ય બાળકો સાથે સ્પર્ધા કરવાની થાય છે છતાં પણ તેને વિજેતા બનીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
દરેક સ્પર્ધામાં દિવ્યાંગો માટે અલગ કેટેગરી રાખવામાં માટે અન્વીએ ગયા મહિને જ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆત કરી હતી. અને તે સંદર્ભે રાજ્યપાલ દ્વારા પણ રમત મંત્રાલયને આ બાબતે વિચારણા કરવા પત્ર લખ્યો છે. અન્વી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતના પૂર્વ સચિવ ડો.કે.આર.ઝાંઝરુકિયાની પૌત્રી છે. અને તેના માતા પિતા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવે છે.
આ પણ વાંચો : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં તંત્ર સજ્જ, કોરોનાની સારવાર માટે બેડની સંખ્યામાં વધારો કરાયો