Surat : દિવાળી સુધીમાં 100 ટકા રસીકરણ કરવા સુરત મહાનગરપાલિકાનો લક્ષ્યાંક
સુરત મહાનગરપાલિકા હવે નોક ધ ડોર કેમપેઇન ચલાવશે. જે અંતર્ગત મહત્તમ લોકો સુધી વેક્સિનેશનનો લાભ લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) હવે વેક્સિનેશન પર જ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મહાનગરપાલિકાએ દિવાળી પહેલા તમામ લોકોને રસીકરણનો લાભ આપવાની યોજના બનાવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ દિવાળી પહેલા વેકિસનેશનના ટાર્ગેટને 100(Target ) ટકા પર લઇ જવાનો આદેશ આપ્યો છે.
વેક્સિનનો સ્ટોક વધારવાથી અંદાજે 8 લાખ લોકોને દિવાળી સુધી વેક્સિનેશનના પહેલા ડોઝ આપવાની આશા છે. શહેરમાં વધારેમાં વધારે લોકો સુધી વેક્સિનનો લાભ આપવા માટે મહાનગરપાલિકા એનજીઓની મદદ પણ લેશે.
ત્રીજી લહેરને લઈને મળેલી સમીક્ષા બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દિવાળી પહેલા તમામ લોકોના વેક્સિનેશનની જવાબદારી ઝોનના અધિકારીઓને આપી દેવામાં આવી છે. દરેક ઝોનમાં મતદાર યાધીન આધાર પર વેક્સિનના ટાર્ગેટ નક્કી કરવામાં આવશે.
સુરતના કતારગામ અને ઉધના ઝોનમાં વેક્સિનેશન ઓછા હોવાના કારણે આ વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર વધારવાની સૂચના પણ આપવામાં આવી છે. હાલ સુરત મનપાને સૌથી વધારે વેક્સિનનો સ્ટોક મળી રહ્યો છે.
છેલ્લા 10 દિવસથી તો વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. ત્યાં જ જે બાકી રહી ગયા છે તેમને બીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. દર બુધવારે બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સીટી, કોલેજોમાં પણ 18 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને પણ વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે સુરતમાં વેક્સિનેશન 76 ટકા સુધી પહોંચી ગયું છે.
આમ, હવે જ્યાં વેક્સિનેશનનો લાભ નથી પહોંચી રહ્યો તેવા ઝોન વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો વધારીને પણ હવે મહત્તમ લોકો સુધી પહોંચી શકાય તે માટે સુરત મનપા દ્વારા પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં આ આયોજન પ્રમાણે ચાલવામાં આવે તેમજ જો વેક્સિનનો પૂરતો જથ્થો પણ જો આવનારા દિવસમાં મળતો રહ્યો તો કોર્પોરેશને નક્કી કરેલા ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે. અને દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
નોંધણીય છે કે હાલ અલગ અલગ સેન્ટરો પરથી રોજના 50 હજાર લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. અને પાલિકા પાસે એટલો પૂરતો સ્ટાફ પણ છે કે રોજના 60 હજાર લોકોને વેક્સીન આપી શકાય. જો જરૂર પડશે તો મહાનગરપાલિકા એન.જી.ઓ.ની પણ મદદ લેશે.
આ પણ વાંચો :