Surat : પોસ્ટ વિભાગમાં પણ ત્રિરંગા ઝુંબેશને સફળ પ્રતિસાદ, 30 હજાર કરતા પણ વધુ લોકોએ કરી રાષ્ટ્રધ્વજની ખરીદી
ઉલ્લેખનીય છે કે સુરતના(Surat ) દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ માટે ઉત્સાહ સાતમા આસમાને છે. ઝુંબેશ શરૂ થતાની સાથે જ સુરતના ટેક્સટાઈલ માર્કેટને લગભગ 10 કરોડ ફ્લેગ બનાવવાના ઓર્ડર મળ્યા છે.
દેશના દરેક ઘરે ત્રિરંગા(Tricolor ) ઝુંબેશમાં રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી રહે તે માટે પોસ્ટ(Post ) ઓફિસોમાં રાષ્ટ્રીય ધ્વજ વેચાણ સ્ટોલ(Stall ) ઉભા કરવામાં આવ્યા છે. સુરત પોસ્ટ વિભાગ દ્વારા 1 ઓગસ્ટથી શહેરની તમામ પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રધ્વજના વેચાણ માટે ટેબલો પણ ગોઠવવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરની વિવિધ પોસ્ટ ઓફિસમાંથી કુલ 30 હજાર કરતા પણ વધુ નાગરિકોએ રાષ્ટ્રધ્વજની ખરીદી કરી છે.
‘હર ઘર તિરંગા’ અભિયાનમાં યુવાનોને જોડવા માટે 1 થી 15 ઓગસ્ટ દરમિયાન સુરતની તમામ પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રધ્વજના વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સરકારના અભિયાન અંતર્ગત પોસ્ટ ઓફિસ દ્વારા પણ સામાન્ય જનતામાં જાગૃતિ માટે પ્રભાતફેરી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોસ્ટ્સની ઑફિસ, સુરતને 37,500 રાષ્ટ્રધ્વજ વેચાણ માટે મળ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક અઠવાડિયામાં શહેરમાં 30 હજાર કરતા પણ વધુ નાગરિકોએ રાષ્ટ્રધ્વજ ખરીદ્યો છે. રાષ્ટ્રધ્વજની કિંમત રૂ.25 નક્કી કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. 3.2 ના ગુણોત્તરમાં છે, 3 લંબાઈ છે અને 2 પહોળાઈ છે. શહેરના લોકો પોસ્ટ ઓફિસ સમય દરમિયાન તેમના ઘરની નજીકની પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકે છે. આટલા દિવસોમાં તારીખ 5 ઓગસ્ટે સૌથી વધુ 14,485 રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું હતું.
સુરત હેડ ઓફિસ મહિધરપુરામાંથી નાગરિકો દ્વારા અંદાજે 13-14 હજાર રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત નાનપુરા પોસ્ટ ઓફિસમાંથી 9,000 જેટલા નાગરિકોએ, વરાછામાં લગભગ 3,000, મોટા વરાછા, નાના વરાછા વિસ્તારમાં 2,000, રાંદેર વિસ્તારમાં 2,000, અઠવાલાઈન્સ, સિટીલાઈટ, વેસુ વિસ્તારમાં એસવીઆર કોલેજ પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરી છે. મુખ્ય પોસ્ટ ઓફિસોમાં સેલ્ફી ઝોન પણ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં યુવાનો તિરંગા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરતના દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ માટે ઉત્સાહ સાતમા આસમાને છે. ઝુંબેશ શરૂ થતાની સાથે જ સુરતના ટેક્સટાઈલ માર્કેટને લગભગ 10 કરોડ ફ્લેગ બનાવવાના ઓર્ડર મળ્યા છે. રાષ્ટ્રધ્વજના પાર્સલ સુરતથી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં રેલવે, રોડવે અને એરોપ્લેન દ્વારા પહોંચાડવામાં આવે છે. સુરત રેલ્વેએ જયપુર, નિઝામુદ્દીન, મદ્રાસ, સિકંદરાબાદ, બેંગ્લોર, લખનૌ, બનારસ સહિતના વિવિધ શહેરોમાં 1.5 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ મોકલ્યા છે.