Surat : રેલવે ટ્રેકની નજીક રહેતા 9 હજાર પરિવારોને રેલવેનું અલ્ટીમેટમ, જગ્યા ખાલી કરવા આપી નોટિસ
સુરતના રેલવે ટ્રેક પર રહેતા 9 હજાર પરિવારોને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. જયારે રેલવે મંત્રીને મળ્યા ત્યારે કહી દેવામાં આવ્યું કે એપોઇમેન્ટ લઈને મળવા આવો.
ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પર વસવાટ કરી રહેલા પરિવારોને રેલવે દ્વારા તેમના ઘર પર નોટિસ ચોટાડવામાં આવી છે. 24 કલાકમાં જગ્યા ખાલી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેના કારણે અહીં રહેતા લોકોમાં રેલ્વે તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો રેલવે વિભાગને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ટુંકી મુદતની નોટીસમાં તેઓ જાય તો ક્યાં જાય ?
વરસાદની સીઝનમાં 24 કલાકમાં તેઓ ઘર છોડીને ક્યાં જઈ શકે છે. નોંધનીય છે કે ઉધના સુરત વચ્ચે થર્ડ રેલવે લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ટ્રેકના કિનારે રહેતા લોકોના કારણે આ યોજના છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડી છે. અને રેલવે લાઈન બનાવવાનું કામ અટકેલું છે.
હવે રેલવે દ્વારા તમામના ઘરો પર નોટિસ ચીપકાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે આખરે રેલવે તેમને સમય આપ્યા વગર કેવી રીતે જગ્યા ખાલી કરવાની નોટિસ આપી શકે છે. લોકોની માંગણી છે કે તેમને સમય આપવામાં આવે અને તેમની રજૂઆતો પણ સાંભળવામાં આવે.
મળતી માહિતી પ્રમાણે ઉતરાણ, સુરત, ઉધના, ભેસ્તાન રેલવે ટ્રેકના કિનારે વર્ષ 1909 પહેલા કુલ 24 સ્લમ એરિયા આવેલા હતા. જેમાં કુલ 9 હજાર પરિવારો રહી રહ્યા છે. આ તમામે રેલવેની જગ્યા પર કબ્જો કરેલો છે. જેને લઈને વર્ષ 2014માં પણ રેલવે દ્વારા તેમને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તે વખતે કોંગ્રેસ સરકારની દરમ્યાનગિરી અને કોર્ટમાં અરજીના કારણે કોર્ટે રૂટ ઓર્ડર આપી દીધો હતો.
21 ઓગસ્ટ,2021ના રોજ આ ગેરકાયદે દબાણ માટે ફરી સુનાવણી થઇ છે. જેમાં કોર્ટે રેલવેના પક્ષમાં ફેંસલો લઇ જગ્યા તતકાલિક ખાલી કરવા આદેશ આપ્યો છે. જેથી રેલવેના પેન્ડિંગ પ્રોજેક્ટ પૂર્ણ થઇ શકે. સુરત ઉધના વચ્ચે થર્ડ લાઈન રેલવેનું કામ અટકેલું છે. જેમાં આ ગેરકાયદે બાંધકામ નડતરરૂપ થઇ રહ્યું છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત કોંગ્રેસના અન્ય આગેવાનોએ લોકોને લઈને મંત્રી દર્શના જરદોશના ઘરે આ મુદ્દે રજુઆત કરવા પહોંચ્યા પણ હતા. જોકે તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. અને એ કહીને મોકલી આપવામાં આવ્યા હતા કે તેઓ એપોઇમેન્ટ વગર કોઈને મળતા નથી, જેથી જે કોઈ રજુઆત હોય તે ભાજપ કાર્યાલય પર જઈને કરવામાં આવે.
આ પણ વાંચો :
SURAT : વરસાદ બાદ સુરત શહેર ખાડા નગરીમાં ફેરવાયું, રસ્તાઓ સાથે બ્રીજ પર પણ ખાડા પડ્યા
SURAT : કતારગામમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, માતા અને પુત્રીના મોતથી ખળભળાટ