Surat : જાણી લો હવે આ બ્રિજ 19 જુલાઈ નહીં 5 ઓગસ્ટે મુકાશે ખુલ્લો
રીપેરીંગની(Repairing ) કામગીરી બાકી હોવાથી 5 ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો તે પહેલાં બ્રિજની કામગીરી પુરી થશે તો કોઈ પણ જાહેરાત વિના બ્રિજ પરનો વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે તેમ પાલિકા તંત્ર જણાવી રહ્યું છે.
શહેરના ઉધના (Udhna )ખાતે આવેલ ખરવરનગર ફ્લાય ઓવર(Flyover ) બ્રિજના રીપેરિંગની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં હવે આગામી 5મી ઓગસ્ટનું મુર્હૂત નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 27 મી જૂનના રોજ ખરવરનગર ફ્લાય ઓવર બ્રિજના એક તરફનો હિસ્સો સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો અને 19મી જુલાઈ સુધી આ કામગીરી પૂર્ણ કરવાની હતી.
સુરત – નવસારી મેઈન રોડ માટે મહત્વપૂર્ણ એવા ખરવર નગર જંક્શન ફ્લાય ઓવર બ્રિજના વેરીંગ કોટના સમારકામ માટે ગત 27મી જુનથી 19મી જુલાઈ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, છેલ્લા એક પખવાડિયાથી સતત વરસાદને પગલે કામગીરીમાં વિધ્ન ઉભા થતાં હવે આગામી 5મી ઓગસ્ટ સુધી આ કામગીરી પૂર્ણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
જોકે, એક તરફનો બ્રિજ સદંતર બંધ હોવાને કારણે ખરવર નગર જંકશન પર દરરોજ પીક અવર્સમાં સેંકડો વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ભારે ટ્રાફિકને પગલે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા સાથે સાથે ટ્રાફિક નિયમન પણ સરળતાથી થઈ શકે તે હેતુથી, સુરત-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન પર આવેલ ફલાય ઓવર બ્રિજની ડાબી બાજુએ આવેલ સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર અને પાર્કિંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ કે અનલોડિંગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
રીપેરીંગની કામગીરી બાકી હોવાથી 5 ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે પાલિકા અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે જો આ તારીખ પહેલાં બ્રિજની કામગીરી પુરી થશે તો કોઈ પણ જાહેરાત વિના બ્રિજ પરનો વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ શહેરના રિંગરોડ ખાતે આવેલા સહારા દરવાજા ફલાયોવર બ્રિજ અને મલ્ટિલેયર બ્રીજનું કામ ચાલતું હોવાથી તે બ્રિજ પણ દોઢ મહિના સુધી બંધ રહ્યો હતો, જેના કારણે લોકોને પણ ખાસી હેરાનગતિ થઈ હતી. જ્યારે પણ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ લોકોને તેમાંથી મોટી રાહત મળી છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે જૂના થઈ ગયેલા બ્રીજોનું સમારકામ હાથ ધરવામાં આવે છે. આ બ્રિજ પણ 2012 માં બન્યો હોય તેનું રીપેરીંગ જરૂરી લાગતા કોર્પોરેશનના બ્રિજ સેલ દ્વારા તેને 5 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.