Surat : આ વિસ્તારના લોકોને કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની સતાવી રહી છે ભીતિ
સુરતમાં પાણીજન્ય રોગચાળાને કાબુમાં કરવા તંત્ર પગલાં નહીં ભરે તો અસંખ્ય લોકો તેના ભરડામાં આવી શકે તેમ છે.
Surat શહેરના વરાછા(varachha ) ખાતે હીરાબાગ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દુષિત અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની(drinking water ) સમસ્યાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે વરાછા ઝોનમાં વારંવાર રજુઆત પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી. જેથી આ વિસ્તારના લોકોને હવે કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની ભીતિ વધારે સતાવી રહી છે.
વરાછા ઝોન – એમાં આવેલા હીરાબાગ અને આસપાસની 15 કરતા વધુ સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સંભવતઃ ગટરનું પાણી ભળી ગયું હોય તેવી શક્યતાઓ વચ્ચે આ વિસ્તારમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી સપ્લાય થતાં સેંકડો પરિવારોના માથે રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા ઝોનના સંબંધિત વિભાગમાં રજુઆત કરવા છતાં આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોપન પ્રકારની કામગીરી કરવાં આવી નથી.
સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરે પૂર્વ કોર્પોરેટર અને આદ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, હીરા બાગની આસપાસ આવેલી સોસાયટીઓમાં જે સમસ્યા વકરી છે તે ખુબ જ ગંભીર છે. વરાછા ઝોન દ્વારા આ મુદ્દે તાકીદે કામગીરી કરીને પીવાના પાણીની સમસ્યા દુર કરવી જોઈએ. હાલની સ્થિતિ જોતાં આ વિસ્તારમાં જો વહેલી તકે આ સમસ્યા દુર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઘરે – ઘરે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી પ્રબળ શક્યતાઓ છે.
15થી વધુ સોસાયટીના રહેવાસીઓ પરેશાન હીરા બાગ ખાતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોય અથવા તો ગટરનું દુષિત પાણી ભળી રહ્યું હોય તેવી સ્થિતિની વચ્ચે છેલ્લા પંદર દિવસથી સ્થાનિકો નાછૂટકે ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાના પાણીનો વપરાશ કરવા માટે મજબુર બન્યા છે. હીરા બાગની આસપાસ આવેલી ગુરૂનગર, જલારામ નગર, વલ્લભનગર, અનુરાધા, ઉર્મી સોસાયટી સહિતના વિસ્તારમાં અંદાજે 17 હજાર કરતાં વધારે નાગરિકો વસવાટ કરે છે. મનપાના તંત્રને કારણે સ્થાનિકો નાછૂટકે ગંદા પાણીનો ઉપયોગ કરવા માટે મજબુર હોવાને કારણે હવે આ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે આ પહેલા કઠોર વિસ્તારની પણ આવી જ એક સોસાયટીમાં પાણીજન્ય રોગચાળાના કારણે 3 વ્યક્તિઓના મોત થયા બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે સ્થાનિકોની આ ફરિયાદને જો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આ રોગચાળાના ભરડામાં અસંખ્ય લોકો આવી શકે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Surat : શ્વાનને ન્યાય અપાવવા પહેલીવાર ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવાયા : શ્વાન ગુમ થયા બાદ મોત થયાની ફરિયાદ