Surat : શ્વાનને ન્યાય અપાવવા પહેલીવાર ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવાયા : શ્વાન ગુમ થયા બાદ મોત થયાની ફરિયાદ
વેટરનીરી હોસ્પિટલમાં દાખલ શ્વાનની સારવારમાં બેદરકારી બદલ ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી છે.
ગોપીપુરાનો એક પરિવાર પોતાની 15 વર્ષની શ્વાન (dog ) ઝમકુડી ને ન્યાય અપાવવા ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો છે. બે વર્ષ પહેલા ઝમકુડી બીમાર પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તે ગુમ થઈ જતાં 26 દિવસ બાદ મળી હતી. જો કે બાદમાં તેનું મોત થતાં પરિવારે એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફતે હોસ્પિટલ સામે એક લાખના વળતરની માંગણી કરતો દાવો કર્યો છે. ગ્રાહક કમિશને આ કેસમાં હાલ હોસ્પીટલ અને ટ્રસ્ટીઓને નોટિસ આપીને 24 સપ્ટેમ્બરે બચાવ માટેના દસ્તાવેજો પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.
કેસની વિગત એવી છે ગોપીપુરામાં રહેતા પરિવારે એક કુતરી પાળી હતી.જેનું નામ ઝમકુડી હતું. ઝમકુડી ને કાનમાં ઇન્ફેક્શન થતા 9 ડિસેમ્બર,2019ના રોજ પ્રયાસ સંસ્થામાં લઇ ગયા હતા. ત્યાંથી તેને નંદિની વેટરનિટી હોસ્પિટલમાં(veterinary hospital ) દાખલ કરવામાં આવી હતી.જ્યાં પરિવારે 5100 રૂપિયા ભર્યા હતા .તપાસ દરમ્યાન ઝમકુડીને મોતિયો હોવાનું કહેવામાં આવ્યું હતું. ઝમકુડી ને દાખલ કર્યા બાદ પણ બે દિવસ પછી હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે ઝમકુડી ગુમ થઈ ગઈ છે.
ડોગીના માલિક દ્વારા હોસ્પિટલને પૂછવામાં આવ્યું હતું કે તે કેવી રીતે ગુમ થઇ આ બાબતે હોસ્પિટલના સત્તાધીશો પાસે કોઈ સંતોષકારક જવાબ નહોતો. વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગુમ થયા બાદ ઝમકુડી વિષે 9 કલાક બાદ માલિકને જાણ કરીને તેમાં પણ બેદરકારી બતાવી હતી. આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. 26 દિવસ બાદ ઝમકુડી ઉધના વિસ્તારમાંથી મળી આવી હતી અને તેની તબીયત વધારે ખરાબ થઇ ગઈ હતી. અને સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
એક તરફ ડોક્ટરોની બેદરકારી અને ગંભીર ભૂલ ઉપરાંત ઝમકુડીનું અવસાન થયું. તેઓને શોધવામાં જે તકલીફ થઇ તે તમામ કારણો રજૂ કરીને ફરિયાદીએ વકીલ મારફતે ગ્રાહક કોર્ટમાં(consumer court )ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ દ્વારા 24 સપ્ટેમ્બરે પાંજરાપોળ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓને પોતાના બચાવના પુરાવા સાથે અથવા વકીલ મારફતે હાજર થવા નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચો : Surat : ભારે વિરોધ થતા, સુરત રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડાયા