Surat : સુરત મનપામાં ભળેલા 15 ગામને 134 કરોડના ખર્ચે પીવાનુ પાણી પૂરુ પડાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાણીનું નેટવર્ક ઉભું કરવા 134 કરોડની યોજના પર કામગીરી શરૂ કરી છે. આ કામગીરીથી 15 ગામને પીવાના પાણીની સમસ્યા દૂર થશે.
કોરોના સમયમાંથી હવે બહાર આવી રહેલા સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) તંત્ર દ્વારા લોકોની સુવિધા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકોની સુવિધામાં વધારો થાય તેવા આયોજનો પણ હવે હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે જ સુરતમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોમાં હવે પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી હાથ ધરાય તેવી કામગીરીનું આયોજન ઝડપથી થાય તે પ્રકારે કામ શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સુરતના સચિન કનકપુર કનસાડ નગરપાલિકા વિસ્તાર માટે 34 કરોડનો પાણીની યોજનાના ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં પણ પાલી અને પારડી કણદે એમ બે ગામનો ઉમેરો કરી રિવાઇઝ ડીપીઆર બનાવવામાં આવ્યા છે. આ પ્લાન બની જતા ઉધના ઝોનમાં પાણીની સુવિધાના કામો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત વરાછા ઝોન બી અને લિંબાયત તેમજ રાંદેર ઝોનમાં સમાવિષ્ટ સણીયા હેમદ,પાસોદરા, કુંભારીયા, સારોલી, ફૂડસદ,કઠોદરા અને અસારમા ગામોમાં પાણી ના નેટવર્ક માટે અંદાજે 100 કરોડનો ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધી પુરવઠા બોર્ડની જૂની વ્યવસ્થાથી જ પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હતી.
સાથે જ એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે સુડામાંથી જે ગામ સુરત મહાનગરપાલિકામાં આવ્યા છે તે 15 ગામો સ્યાદલા, સેગવા, ગોથાણ, વસવારી, ઉમરા, અબ્રામા, ભાઠા, વાલક, લસકાણા, કઠોર, ભરથાણા, કોસાડ, ઈચ્છાપોર અને ભેસાણમાં સુડા દ્વારા પાણી ના નવા નેટવર્ક બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી હવે ગામોમાં સુડા ના માધ્યમથી જ કામ લેવામાં આવશે.
થોડા દિવસો પહેલા કઠોર ગામમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળતા 6 લોકોના મોત પણ થયા હતા. જેથી હવે વહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં મહાનગરપાલિકાના પાણી નેટવર્ક બનાવી દેવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી છે.