મુંબઈના વેપારીએ 25 લાખનું પેમેન્ટ ન આપતા સુરતના વેપારીએ ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન
Surat: ઉધનામાં વેપારીએ તેનુ 25 લાખનું પેમેન્ટ ન મળતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મુંબઈના વેપારીએ સુરતના વેપારીને 25 લાખનું પેમેન્ટ ન આપતા વેપારીએ આર્થિક ભીંસમાં મુકાઈ જતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ. પોલીસે સુસાઈડ નોટને આધારે મુંબઈના વેપારી સામે ગુનો નોંધ્યો છે.
સુરતના ઉધનામાં રોડ નંબર ઝીરો ખાતે હોલસેલ પ્લાસ્ટિકના વેપારીએ તેના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના વેપારીને આપેલા રૂપિયા 25 લાખ પરત ન મળતા સુરતના વેપારી આર્થિક સંકડામણમાં મુકાઈ ગયા હતા. જેને લઈ તેમણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે મળ્યું છે. પોલીસને આપઘાત કરનાર વેપારી પાસેથી એક લીટીની સુસાઈડ નોટ મળી આવી છે. જેને આધારે પોલીસે મુંબઈના વેપારી સામે સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
32 વર્ષીય વેપારીએ ગોડાઉન પર જઈ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
સુરતમાં હોલસેલ પ્લાસ્ટિકનો વેપાર કરતાં 32 વર્ષીય ઉદય પાઘડાળ ઘરેથી વહેલી સવારે ગોડાઉન પર જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ મોડી સાંજ સુધી પરત આવ્યા ન હતા. જેને લઈ ગોડાઉન પર તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમના ઉધના ખાતેના ગોડાઉનમાં હુક સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મૃતક વેપારી ઉદય પાઘડાળ મૂળ જૂનાગઢના કેશોદના વતની છે અને સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગર ઘર નં.94માં તેના મોટા ભાઈ હિરેનભાઈ ગોપાલભાઈ પાઘડાળ સાથે રહેતા હતા. તેઓ નાના ભાઈ ઉદય સાથે ઉધના રોડ નં.0 ખાતે શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે. સામાન મુકવા તેમણે ઉધના રોડ નં.8 ખાતે ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખેલુ છે.
મોટાભાઈ સેવાકાર્યમાં ગયા અને પાછળથી નાના ભાઈએ આત્મઘાતી પગલુ ભર્યુ
મોટા ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્ત્સવના સેવાકાર્યમાં ગયાને નાના ભાઈએ આપઘાત કરી લીધો. મોટાભાઈ હિરેન પાઘડાળ ગત 16મીના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્ત્સવના સેવાકાર્યમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી. હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હતો. જેને લઈ હિરેને તેમના મિત્ર મિતુલને ગોડાઉન ઉપર તપાસ કરવા મોકલ્યો હતો.
મિતુલે ત્યાં જઈ જોયું તો શટર અંદરથી બંધ હતું. આથી આજુબાજુના લોકોને સાથે રાખી શટર ઉંચુ કરી જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને લઈ ઘટના અંગે તાત્કાલિક તેના મિત્રને જાણ કરી હતી અને ત્યારબાદ ઉધના પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
બિલ બુક સાથે એક લીટીની સુસાઇડ નોટ મળી
નાનાભાઈના આપઘાતના સમાચાર મળતાની સાથે જ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ છોડી મોટાભાઈ હિરેન સુરત દોડી આવ્યા હતા. ઉદયની અંતિમવિધિ પતાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગોડાઉનમાં ઉદયની લાશ પાસે એક થેલીમાંથી નાની બીલબુકના લીટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હોવાનું જણાવ્યું હતું. આ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે “આ ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું.”
મૃતક ઉદયની સુસાઈડ નોટને આધારે મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
પોલીસે મરનારના મોટા ભાઈ હિરેનને મળી આવેલ સુસાઇડ નોટમાં કરાયેલ ઉલ્લેખ અંગે પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન મોટાભાઈ હિરેને પોલીસને જણાવ્યું હતું કે બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ એડવાન્સમાં આપ્યા હતા. જેના રૂપિયા લેવાના થતા હતા. આ નાની-સુની રકમ ન હતી.
મુંબઈના વેપારી પાસેથી કુલ રૂ.25 લાખ રૂપિયા લેવાના થતા હતા. ત્યારે મુંબઈના વેપારી ગૌતમ પાસેથી આ રૂપિયા લેવા માટે અનેક વખત વાત કરી હતી ત્યારે તે માત્ર વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હતો. જેને લઇ ધંધામાં તેમને દેવું થઈ ગયું હતું. તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો. ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.