Surat : ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ નેચરોપથીની સારવાર લઇ પરત ફર્યા, 10 દિવસમાં ઘટાડ્યું 6 કિલો વજન
અહીં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે તેઓએ પીએમ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા

ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ (C.R. Paatil ) સતત 10 દિવસ સુધી કુદરતી ઉપચારની સારવાર લઈ રવિવારે સુરત (Surat )પરત ફર્યાં હતાં. આ દરમિયાન તેમનું વજન 6 કિલો જેટલું ઘટયું છે. સી.આર.પાટીલે ફેસબુક પર પોસ્ટ કરી વડાપ્રધાન મોદી તથા કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો.
તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સતત પ્રવાસ અને પ્રવાસમાં કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો જે માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આયુષની આયુર્વેદ ઇન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સા૨વા૨ લેવા માટે તાકીદ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો. આજે 10 દિવસ પછી નેચરોપથીની સારવાર લઇને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.
તેઓ એ લખ્યું છે કે અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યા. પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું. વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આભાર વ્યક્ત કરું છું.
આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઇન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી એઆઈઆઈએમએસનો દરજ્જો અપાયો છે. જેનો લાભ મેં પણ લીધો છે, અહીં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે તેઓએ પીએમ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા. સી.આર. પાટીલે આ પોસ્ટ પોતાના ફેસબુકના માધ્યમથી શેર કરી છે. જેમાં તેમની સાથે તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ પણ દેખાઈ રહ્યા છે.