Surat: Happy Birthday તાપી માતા, જાણો તાપી મૈયાનો રસપ્રદ ઈતિહાસ
તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે.
સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સુર્યપુર કહેવાય છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે. તાપી નદીના જન્મદિવસે તાપી નદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણવી જરૂરી છે.
તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. બીજી નદીમાં સ્નાન કરીએ તો નદીને કંઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે.
તાપી માતાનું ઉદગમસ્થાન
તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે 724 કિ.મીની છે. પુરાણોમાં કહેવાયું છે કે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા, આમ ગંગા નદી કરતા પણ તાપી નદી કરતા જૂની છે અને એટલે જ તેને આદી ગંગા પણ કહેવાય છે.
સુરતમાં છે તાપી માતાનું મંદિર
ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે. 1915માં આપણી માતા તાપીના નામ પરથી જ થાઈલેન્ડની એક નદીનું નામ પણ તાપી રાખવામાં આવ્યું છે. 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.
સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર માનવામાં આવે છે.
તાપી માતાને જન્મદિવસ પર અર્પણ કરાય છે ચુંદડી
દર વર્ષે તાપી નદીના જન્મદિવસે માતા તાપીની પૂજા કરીને તેને ચુંદડી ચડાવવામાં આવે છે. સુરત મનપા પણ તાપી શુદ્ધિકરણ પર ચિત્ર સ્પર્ધા રાખે છે અને સાંજે નદીના પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખે છે.
સુરતીએ તૈયાર કર્યું તાપી પુરાણ
સુરતના એક વ્યક્તિએ તો તાપી પુરાણ પણ લખ્યું છે, જેમાં તાપી નદીના ઉદગમસ્થાનથી લઈને તાપી નદીનું મહાત્મ્ય, તાપી નદીનો ઈતિહાસ, તેના કિનારે આવેલા મંદિરો વિશેની તમામ માહિતી સાંકળી લેવામાં આવી છે. આ સુરતીનું નામ છે ઐલેષ શુક્લ. તેમણે 500 પાનાનું તાપી પુરાણ તૈયાર કર્યું છે. તેમની પાસે વર્ષ 1932 અને 1604ની વર્ષના બે તાપીપુરાણ છે, જેનો આધાર લઈને તેમને આ તાપી પૂરાણ તૈયાર કર્યું છે. આ માટે તેમને 6,500 કિમીની યાત્રા કરી છે. 3 હજાર ફોટોગ્રાફ્સ લીધા છે અને 500 જેટલા વ્યક્તિઓના ઈન્ટરવ્યૂ કર્યા છે.
ઐલેષ શુક્લનું કહેવું છે કે આપણે બધા Save Tapi , Love Tapi અને Care Tapiનું સ્લોગન કહીએ છીએ પણ આપણે એટલે કે સુરતીઓ આજે જે કંઈ છે તેના માટે તાપી નદીના આભારી છીએ, જેથી આપણે તાપી નદીની જય પણ કહેવી જોઈએ. આજના તાપી નદીના જન્મદિવસે તાપી નદીનું મહત્વ સમજીને તેને માતા તરીકે ગણીને હંમેશા તેને સાચવવાનું પ્રણ લઈએ એ જ તાપી નદીને સાચી ભેટ છે.
આ પણ વાંચો: ભડલી નોમ એટલે તો શુભ કાર્યો માટેનું વણજોયું મુહૂર્ત !