Surat : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉડ્ડયન મંત્રીને રજુઆત
દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને સુરતથી દુબઇ, બેંગકોક, લંડનની ફ્લાઇટ આપવા રજુઆત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ વધારવા માટે પણ માંગણી કરી હતી. કેન્દ્રના ટેક્ષટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી તથા સુરતના સાંસદ દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.
સાથે સાથે 360 જેટલા સીઆઇએસએફ જવાનોનું મહેકમ મંજુર કર્યું છે. આ જવાનોને સુરત એરપોર્ટ પર ડિપ્લોય કરવા અને તેમના રહેઠાણ માટે જરૂરી વ્યવસ્થા અને સુવિધા ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ, ટેક્સી વે અને એપર્નનું કામ સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગને આદેશ આપવા પણ રજુઆત કરવામાં આવી છે.
સુરતના કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે ડેવલપ કરવા પણ દર્શના જરદોશે ભાર મુક્યો હતો. તેમને ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલની સફળતાની વિગતો પણ રજૂ કરી હતી. આ સાથે જ તેમને ડૉમેસ્ટિકની સાથે સુરત એરપોર્ટના પરિસરમાં ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ વિકસાવવા પણ માગ કરી છે.
Met Hon’ble Minister for Civil Aviation Shri @JM_Scindia ji and discussed various development works related to Surat International Airport. pic.twitter.com/fP67ZxvDzF
— Darshana Jardosh (@DarshanaJardosh) September 9, 2021
સાંસદ અને મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પુરા કરાવવા અને સીઆઈએસએફ બંદોબસ્ત માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે સુવિધા હોય છે તે સુવિધાઓ ઝડપથી આપવા પણ રજુઆત કરવામાં આવી છે.
દર્શના જરદોશે સુરત એરપોર્ટથી 50 કોમર્શિયલ ફ્લાઇટ કોરોના પહેલા ઓપરેટ થતી હતી અને મહિને દોઢ લાખથી વધુ પેસેન્જરોની અવર જવર રહેતી હતી. તેની વિગતો પણ આપી હતી અને હવે જયારે ફરી પેસેન્જરની સંખ્યા વધી છે, તેની વિગતો પણ આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર્શના જરદોશે સુરતથી દુબઇ, બેંગકોક, સિંગાપોર અને લંડનની ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ સમયાંતરે શરૂ કરે તેવી રજુઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.