Surat : અત્યાધુનિકતાના દાવા પોકળ, યુનિવર્સીટીની મોક ટેસ્ટમાં પાસવર્ડ ખોટા જનરેટ થયા, મોક ટેસ્ટ ફરી લેવાશે
વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ લેવામાં આવી હતી. તેવામાં ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીથી પાસવર્ડ ખોટા જનરેટ થઈ જતા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટમાં અટવાઈ ગયા હતા.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) આગામી તારીખ 29 નવેમ્બરથી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સની ઓનલાઇન પરીક્ષા (Online Exams) શરૂ થઈ રહી છે. જો કે, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ (Mock Test) લેવામાં આવી હતી. તેવામાં ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીથી પાસવર્ડ ખોટા જનરેટ થઈ જતા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટમાં અટવાઈ ગયા હતા. જે પછી ફક્ત 41.76% વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટની આ પરીક્ષા આપી હતી.
આ ટેક્નિકલ ઇસ્યુને કારણે ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા જ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે અને શનિવારે ફરી મોક ટેસ્ટ રાખવામાં આવી છે. યુનિવર્સિટી અને કોલેજોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે તારીખ 25 નવેમ્બર ગુરૂવારે સવારે 11ઃ00થી સાંજે 5 :00 કલાક દરમિયાન મોક ટેસ્ટ રાખવામાં આવી હતી.
જો કે, આ મોક ટેસ્ટ અપાવવા માટે વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ, કોમ્પ્યુટર સહિતના માધ્યમોથી લોગીન થવા ગયા તો પાસવર્ડ ખોટા બતાવવામાં આવી રહ્યા હતા. એ વાતની જાણ કોલેજોના આચાર્યોને થતા એક પછી એક ફોન યુનિવર્સિટી પર આવવા લાગ્યા હતા. કોલેજોની ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા તાકીદે ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીનો સંપર્ક કર્યો હતો.
તેવામાં જાણવા મળ્યું હતું કે એજન્સીએ પાસવર્ડમાં જે તે વિદ્યાર્થીનો મોબાઇલ નંબર મૂકવાનો હતો તે નંબરનું લિસ્ટ ભૂલથી ઉપર કે નીચે થઇ ગયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓના પાસવર્ડ ખોટા બતાવી રહ્યા હતા. આમ, આ ભૂલ પકડાતા જ તુરંત જ એજન્સીએ અડધો કલાકમાં ભૂલ સુધારી દીધી હતી. જે પછી યુનિવર્સિટીએ ફરી એકવાર કોલેજોને જાણ કરી હતી.
તેના બાદ વિદ્યાર્થીઓ ફરી લોગીન થયા હતા અને મોક ટેસ્ટ આપી હતી. જે બાદ વિદ્યાર્થીઓને મોક ટેસ્ટમાં કોઈ પણ પ્રકારની તકલીફ નડી ન હતી. યુનિવર્સીટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ઇસ્યુ આવતા હવે તારીખ 26 અને 27 નવેમ્બર એમ બે દિવસ ફરી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટના સેમેસ્ટર ત્રણ અને પાંચ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના સેમેસ્ટર માં કુલ 85 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 30,500 વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપી હતી.
આ પણ વાંચો : Surat : વાહ ! કરિયાવરમાં આ પરિવારે દીકરીને સોલાર પેનલ આપી નવો ચીલો ચીતર્યો