Surat: સાડા ત્રણ દાયકા કરતા જુની સચિન સ્લમબોર્ડની ઇમારતો ગમે ત્યારે પડવા તૈયાર , લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા
આ વિસ્તારમાં બનાવાયેલી સ્લમબોર્ડની ઇમારતો (Buildings) અત્યંત જર્જરીત (Dilapidated) થઇ ચૂકી છે અને આ ઇમારતો ક્યારે જમીનદોસ્ત થઇ જાય તેની કોઇ ખાતરી નથી. અહીં રહેતાં તમામ લોકો એક દહેશત વચ્ચે જીવી રહ્યાં છે,
સુરતના (Surat) સચિન સ્લમબોર્ડ વિસ્તારની અંદાજે 35 વર્ષો જૂની મોટાભાગની ઇમારતો હાલમાં રહેવા લાયક રહી નથી. જર્જરિત (Dilapidated) બની ચૂકેલા સચિન સ્લમબોર્ડની ઇમારતો પડવાના વાંકે ઉભી હોય તેવુ છે. એક તરફ ચોમાસુ (Monsoon) બેસવાની તૈયારીમાં છે, ત્યારે અહીની ઇમારતો આજે પડુ અને કાલે પડુ એવી સ્થિતિમાં છે. આ તમામ વિસ્તારની ઇમારતો ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ દરમિયાન એક ફલેટમાં છતનો મોટો સ્લેબ તૂટી પડ્યો હતો. જો કે સદનસીબે મકાનમાં કોઇ રહેતુ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
ખાલી પડેલાં રૂમના ધાબાનો પોપડો પડ્યો
આ વિસ્તારમાં બનાવાયેલી સ્લમબોર્ડની ઇમારતો અત્યંત જર્જરીત થઇ ચૂકી છે અને આ ઇમારતો ક્યારે જમીનદોસ્ત થઇ જાય તેની કોઇ ખાતરી નથી. અહીં રહેતાં તમામ લોકો એક દહેશત વચ્ચે જીવી રહ્યાં છે, મંગળવારે સાંજે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ઇ-2 સિરીઝની ઇમારતના બીજા માળે ખાલી પડેલાં રૂમના ધાબાનો પોપડો પડ્યો હતો. અવાજ આવતાં આસપાસ રહેતા લોકો એકઠા થઇ ગયા હતા અને પહેલા માળે અને ગ્રાઉન્ડ ફલોર ઉપર રહેતાં લોકોએ તપાસ કરી હતી. તે સમયે મકાનની છતનો મોટો પોપડો પડ્યો હોવાનુ જાણ થઇ હતી.
લોકોએ ડરના માર્યા ઘર ખાલી કર્યા
આસપાસના લોકોએ જ મકાનમાં આ ઘટના બની હતી તે ઘરના મોભીઓના ફોન નંબર લઇ મકાનમાં બનેલી ઘટના અંગે જાણ કરી હતી. મકાનમાં મોટો પોપડો પડતાં ધાબાની પકડ નાજુક થઇ જતાં મોડી સાંજે આખું ધાબું તુટી પડતાં રૂમમાંથી સીધું આકાશ દેખાય તેવી સ્થિતિ થઇ ગઇ હતી. આ ઘટના બાદ મકાનમાં રહેતાં ઇ-1384 થી લઇને 1387 સુધીના મકાનો રહીશોને ખાલી કરવાની નોબત આવી ગઇ હતી. લોકોએ ડરના માર્યા સામાન પેક કરવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.
મંગળવારે મોડી સાંજે ઇ સિરીઝની ઇમારતના બીજા માળે આવેલાં રૂમનું ધાબુ તુટી પડતાં રહીશોમાં ભયની લગાણી પ્રવર્તી હતી. આ ઇમારતમાં કુલ 12 ફલેટો છે જેના તમામ રહીશોએ સામાન પેક કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે એક ફ્લેટમાં રહેતા દિવ્યાંગ મહિલા અને વિધવા વહુ લક્ષ્મીબેન બન્ને ઘરવિહોણા બની જતાં તેઓને પોતાનો સામાન રોડ ઉપર લાવવા મજબૂર બન્યા હતા.
જર્જરીત ઇમારતના બીજા માળે ધરાશાયી થયેલાં ધાબાની જાણ ડે.કમિશનર હર્ષદ કિનખાબવાલાએ ફાયર વિભાગને કરતાં ફાયરના લશ્કરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ તમામ ઘટના વચ્ચે કોઇપણ જાનહાનિ થઇ ન હોવાથી તંત્રને હાશકારો રહ્યો હતો. બીજી તરફ વોર્ડ-30 નાં સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી જઇ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.