Sabarkantha: તાન્ઝાનીયામાં 4 કરોડના કાજુ ચોરાઈ જવાથી માલિક લોન લેવા જતા છેતરાયા, વડનગરના આરોપી સામે ફરિયાદ નોંધાઈ
ત્રણ ભાગીદારોએ કાજુની ફેક્ટરી શરુ કરી હતી. જે માટે ઈમ્પોર્ટ કરેલ કાજુનો જથ્થો દરીયાઈ બંદર પરથી જ ચોરાઈ જતા ફટકો વાગ્યો હતો. જેથી તેમાંથી ઉભા થવા માટે 4 કરોડ રુપિયાની લોન મેળવવા જતા છેતરાયાની ફરિયાદ નોંધાઈ.

સાબરકાંઠાના ઈડરના વેપારીની સાથે લોન એજન્ટે છેતરપિંડી આચરી હોવાનુ સામે આવ્યુ છે. ચાર કરોડ રુપિયાની લોન મેળવવા માટે ખાનગી ફાઈનાન્સના એજન્ટનો સંપર્ક થતા ઓનલાઈન ટ્રાન્સફરથી આપેલ 2.30 લાખ રુપિયાની રકમ લઈ ફોન બંધ કરી દઈને છેતરપિંડી આચરતા ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. કાજુની ફેક્ટરીનો માલ તાન્ઝાનીયા પોર્ટ પરથી ચોરી થઈ જતા ફેક્ટરીના માલિકને એજન્ટે પડતા પર પાટુ ફટકાર્યુ હોય એવો ઘાટ સર્જાયો છે.
ભાણપુર ગામના મોરારીલાલ પરષોત્તમદાસ પટેલ મૂળ ખેડૂત છે અને સાથે સાથે તેઓએ કાજુની ફેક્ટરી શરુ કરી હતી. ભાગીદારી પેઢી રચીને તેઓએ કાજુની ફેક્ટરી શરુ કરી હતી. આ દરમિયાન તેમની સાથે ઈમ્પોર્ટ કરેલ કાજુનો જથ્થો દરીયાઈ બંદર પરથી જ ચોરાઈ જતા પડતીનો ફટકો વાગ્યો હતો. જેથી તેમાંથી ઉભા થવા માટે 4 કરોડ રુપિયાની લોન ખાનગી ફાઈનાન્સ પેઢી પાસેથી શોધવાની શરુ કરી હતી.
કાજુ ચોરાયા અને પડતી શરુ થઈ
મોરારીલાલ પટેલના ગામના જ અન્ય બે ભાગીદારો પ્રવિણ નાથાભાઈ પટેલ અને રાજેન્દ્ર રમણભાઈ પટેલ સાથે મળીને ફાર્મસ એગ્રોટેક પ્રાઈવેટ લીમીટેડ નામની કાજુની ફેક્ટરી શરુ કરી હતી. ઈડરના દેશોત્તર પાસે આ ફેક્ટરી શરુ કરી હતી પરંતુ નસીબમાં કઠણાઈ હોય એમ તેમનો ઈમ્પોર્ટ કરેલ માલ ચોરી થઈ ગયો હતો. ફરિયાદ વખતે મોરારીલાલે જણાવ્યુ હતુ કે, તેમનો કાચો માલ તાન્ઝાનીયા દેશથી આયાત કરવમાં આવતો હતો. આ દરમિયાન 4 કરોડ રુપિયાના કાજુનો જથ્થો તાન્ઝાનીયા પોર્ટ પરથી જ ચોરી થઈ ગયો હતો. જેને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સીએ તપાસ શરુ કરી હતી અને જે હાલમાં જારી છે.
ચાર કરોડના કાજુનો જથ્થો ચોરી થઈ જવાને લઈ પેઢીને મોટો આર્થિક ફટકો વાગ્યો હતો. જેને લઈ ફેક્ટરીની લોન ભરપાઈ કરવી મુશ્કેલ બની ગઈ હતી. ફેક્ટરી એનપીએ થતા પૈસાની જરુરીયાત સર્જાઈ હતી. જેને લઈ મોરારીલાલ અને તેમના ભાગીદારોએ પૈસાની શોધ કરવાની શરુઆત કરી હતી. આ માટે એકાદ વર્ષ અગાઉ ભાગીદાર પ્રવિણ પટેલે ઉમેદગઢના ધર્મેન્દ્રસિંહ રાઠોડનો સંપર્ક થયેલ. જે ધર્મેન્દ્રસિંહે વડનગરના ભરત સોમાભાઈ પટેલનો સંપર્ક કરાવ્યો હતો. જેના આધારે ચાર કરોડની લોન માટે વાતચિત કરવામાં આવી હતી.
એજન્ટના રુપમાં આવી છેતરપિંડી આચરી
વડનગરના પીંઠોડી દરવાજા, સુતરવાડા વિસ્તારમાં રહેતા ભરત પટેલે પાનકાર્ડ સહિતની વિગતો મોરારીલાલ પાસેથી વિગતો મેળવી હતી. એગ્રીમેન્ટ સહિતના દસ્તાવેજો સહિતના ખર્ચ પેટેની રકમ ચુકવી આપી હતી. બાદમાં લોન મંજૂર થઈ ગઈ હોવાનુ કહીને રકમ લઈ પોતે ઈડરના વિજયનગર ત્રણ રસ્તા પાસે આવેલ હોવાનુ બતાવ્યુ હતુ. જ્યાં ત્રણેય ભાગીદારો તો પહોંચ્યા પણ રકમ લઈને ભરત પટેલે પહોંચ્યો નહોતો. ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં પંદર દિવસે તેણે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પણ લોન ચાર કરોડની થઈ જશે એવી વાતો કરી હતી. આ દરમિયાન ફરીથી ફોન બંધ કરી દીધો જે ફરી શરુ થઈ શક્યો નથી.
આમ વર્ષ 2022 માં માર્ચ થી જુલાઈ દરમિયાન 2.30 લાખ રુપિયાની રકમ અલગ અલગ હિસ્સાથી ઓનલાઈન ભરત પટેલને મોકલી હતી. આ અંગે ઈડર પોલીસે ગુનો નોંધીને આરોપી ભરત પટેલની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.