RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર
આ વખતે વર્ષ 2022ની ચૂંટણીમાં ત્રીજો મોરચો રેસમાં છે અને પાટીદાર સમાજ દ્રારા સરકાર સામે અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે સંગઠન અને સરકાર વચ્ચેનો મતભેદ દૂર કરવા માટે અને ચૂંટણીમાં રણનિતી ઘડવા માટે વજુભાઇ વાળાને ચૂંટણીના માર્ગદર્શક બનાવવામાં આવી શકે છે.
RAJKOT : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના 65માં જન્મદિવસે વજુભાઇ વાળાના ઘરે જઇને આર્શિવાદ લીધા હતા.બંન્ને વચ્ચે 30 મિનીટ જેટલા સમયની બેઠક થઇ હતી.બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વજુભાઇ વાળા ક્યારેય નિવૃત નહિ થાય અને અલગ અલગ સ્વરૂપમાં પાર્ટીની સેવા કરશે તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને વજુભાઇ વાળાની ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્વિત માનવામાં આવી રહી છે.જો કે વજુભાઇ ક્યાં હોદ્દા પર આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
વજુભાઇના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને હુંફ મળશે : CM મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વજુભાઇ વાળાની મુલાકાત પર નિવેદન આપતા કહ્યું હતુ કે વજુભાઇ વાળાના રાજકોટ આગમનને કારણે હજારો કાર્યકર્તાઓને એક વડિલ તરીકેની હુંફ મળશે.વજુભાઇની નિવૃતિ અંગે નિવેદન આપતા કહ્યું હતુ કે વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.વજુભાઇ અલગ અલગ સ્વરૂપે હંમેશા પાર્ટી અને ભારત દેશ માટે કામ કરતા રહેશે.
કોઇ રાજકીય ચર્ચા થઇ નથી : વજુભાઇ વાળા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ વજુભાઇએ નિવેદન આપતા કહ્યું હતુ કે આજની મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી.જ્યારે કોઇ રાજકીય ચર્ચા કરવી હોય ત્યારે સંગઠન અને સરકાર બંન્ને સાથે બેસીને કરતા હોય છે.જો કે વજુભાઇએ ફરી પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતુ અને પોતે એક કાર્યકર તરીકે ભાજપમાં કામ કરશે તેવો દાવો કર્યો હતો.
વજુભાઇ વાળાને સંગઠન-સરકાર બંન્નેનો અનુભવ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વજુભાઇ વાળા ભાજપના સૌથી સિનીયર નેતા છે.વજુભાઇ વાળા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને નાણામંત્રી તરીકે સરકારના વહીવટી કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે.રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાના કહેવા પ્રમાણે ગુજરાતના રાજકારણની જે પ્રવર્તમાન સ્થિતિ,સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલની વાત હોય કે પાટીદાર નેતૃત્વને લઇને સવાલો ઉભા કરવાની વાત હોય તેમાં વજુભાઇ વાળા ટ્રબલ શુટરની ભૂમિકા ભજવી શકે છે ત્યારે તેને વર્ષ 2022ની ચૂંટણી પહેલા એક મહત્વની જવાબદારી સોંપાય શકે છે.
2022ની ચૂંટણીમાં ઇન્ચાર્જની ભુમિકા? આ વખતે વર્ષ 2022ની ચૂંટણીમાં ત્રીજો મોરચો રેસમાં છે અને પાટીદાર સમાજ દ્રારા સરકાર સામે અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે સંગઠન અને સરકાર વચ્ચેનો મતભેદ દૂર કરવા માટે અને ચૂંટણીમાં રણનિતી ઘડવા માટે વજુભાઇ વાળાને ચૂંટણીના માર્ગદર્શક બનાવવામાં આવી શકે છે. વજુભાઇ વાળાની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત છે અને તેઓએ સંગઠનમાં કામ કરવાની ઇચ્છા પણ દર્શાવી છે ત્યારે રાષ્ટ્રીય મવડી મંડળ તેમના બહોળા અનુભવનો ક્યાં અને કઇ રીતે ઉપયોગ કરે છે તેના પર સૌની નજર રહેલી છે.