Rajkot : રીક્ષાચાલક,આંગણવાડી વર્કર,ફેરિયા સહિતના અસંગઠિત કામદારોનું થશે સંગઠન, જિલ્લા કલેક્ટરે આપી સૂચના
આ કામગીરીની દેખરેખ અને અમલવારી માટે જિલ્લા કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કલેકટર અરૂણ મહેશ બાબુ અધ્યક્ષ રહેશે.અને આસિસ્ટન્ટ લેબર કમિશનર ,ડિસ્ટીક લેબર ઓફિસર મેમ્બર સેક્રેટરી તરીકે કામગીરી કરશે. આ સાથે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પણ સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આંગણવાડી વર્કર,તેડાગર, આશાવર્કર, ફેરિયાઓ, સ્ટ્રીટ વેન્ડર, રિક્ષાચાલકો અને જેના પી.એફ ન કપાતા હોય તેવા વેજીજ પરના કામદારો ઇ- પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી અથવા સી.એસ.સી સેન્ટર પર કરાવી શકશે.
રાજકોટ જિલ્લામાં પીએફ ન કપાતું હોય તેવા અસંગઠિત કામદારોને સંગઠિત કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એપ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઈ શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના લેબર કમિશનરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારો નું ઇ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો કર્મચારીઓ અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મીટિંગ મળી હતી. જેમાં કલેકટરે આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર, શોપ એક્ટ હેઠળ દુકાનદારોના કામદારો, માછીમારો, બાંધકામ વર્કર સેલ્ફ એમ્પ્લોયર્ડ વર્કર, મિલ્કમેન, ખેત કામદારો નાના વ્યવસાયકાર,ન્યુઝ પેપર વેન્ડર, મધ્યાન ભોજન ,પુરવઠા વિતરણ, મનરેગા તેમજ કોઈને કોઈ કામ કરતા હોય પરંતુ જે ઇન્કમટેક્સ ભરતા ન હોય, જેનું પીએફ કપાતું ન હોય તેમજ ઈ એસ આઈ સી ના મેમ્બર ન હોય તેવી પગભર આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે અથવા નજીકના સીએસસી સેન્ટર ખાતે કરાવી શકશે.
અધિકારીઓને કેમ્પ કરવા સૂચના
જિલ્લા કલેક્ટરે સંબંધિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આ માટે કેમ્પ કરીને રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે આ માટે અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ અંગેનું રજીસ્ટ્રેશન www.eshram.gov.in ઉપર કે જે મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ દ્વારા પોર્ટલ પર બનાવવામાં આવ્યું છે તેના પર થઈ શકશે. રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર નંબર, મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તે અને બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપવાની રહેશે.
આ કામગીરીની દેખરેખ અને અમલવારી માટે જિલ્લા કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. જેમાં કલેકટર અરૂણ મહેશ બાબુ અધ્યક્ષ રહેશે.અને આસિસ્ટન્ટ લેબર કમિશનર ,ડિસ્ટીક લેબર ઓફિસર મેમ્બર સેક્રેટરી તરીકે કામગીરી કરશે. આ સાથે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પણ સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અસંગઠિત કર્મચારીઓના હિતનું થશે રક્ષણ
રાજ્ય સરકારની આ યોજનાથી અસંગઠિત કર્મચારીઓનું સંગઠન થવાને કારણે તેમના હિતોનું રક્ષણ થશે અને તેમને જરૂરી સરકારના લાભ મળશે.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પણ મળી રહેશે.